અમિત શાહ નેતાઓને મળ્યા વગર જ રાજકોટથી રવાના
૧:૨૫એ સોમનાથથી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ૨ વાગ્યા સુધી રોકાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે તીરૂપતિથી રાજકોટ એરપોર્ટ ઉપર ચાર્ટર્ડ પ્લેન મારફતે પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચીને દર્શન કર્યા હતા. બીજી બાજુ અગ્નિકાંડને કારણે અમિત શાહ રાજકોટમાં શહેર ભાજપના નેતાઓ સાથે બેઠક કરી ઘટના અંગેની રજેરજની માહિતી મેળવશે તેવી વાત હતી પરંતુ આવું બન્યું ન્હોતું અને શાહ પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશનર અને કલેક્ટરને મળીને સોમનાથ રવાના થયા હતા.
સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ શનિવારે બપોરે ૧:૨૫ વાગ્યે તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં ૨ વાગ્યા સુધી રોકાણ કર્યું હતું. જો કે ૩૫ મિનિટના રોકાણ દરમિયાન પણ તેમણે શહેર ભાજપના કોઈ નેતા સાથે મુલાકાત ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે બે વખત રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા છતાં કોઈ નેતા સાથે મુલાકાત નહીં કરતાં સૌના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે.
બીજી બાજુ મંગળવારે ચૂંટણી પરિણામ આવી ગયા બાદ બુધવારે જ શહેર ભાજપ સામે એક્શન લેવામાં આવે તેવી અટકળો પણ વહી રહી છે.