ડેેંગ્યુની સાથે હવે ચિકનગુનિયા-મેલેરિયાએ પણ લીધો ઉપાડો’
બે સપ્તાહ બાદ બન્ને રોગના દર્દી મળ્યા: ડેંગ્યુના વધુ ૨૪ કેસ: ટાઈફોઈડની પણ આગેકૂચ: શરદી-ઉધરસ-તાવના કેસ
આઉટ ઓફ કંટ્રોલ’
રાજકોટમાં છેલ્લા એકાદ-બે મહિનાથી ડેંગ્યુનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. લગભગ દરેક ઘરમાં અત્યારે ડેંગ્યુ અથવા તો ડેંગ્યુની અસર હેઠળ દર્દી નોંધાઈ રહ્યા છે ત્યારે હવે ચિકનગુનિયા અને મેલેરિયાએ પણ `ઉપાડો’ લેતાં તહેવારો ટાણે જ લોકોની હાલત કફોડી થઈ જવા પામી છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા કેમેય કરીને રોગચાળો કંટ્રોલ થઈ શકતો ન હોય હોસ્પિટલો અને દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે તા.૭-૧૦-૨૦૨૪થી તા.૧૩-૧૦-૨૦૨૪ દરમિયાન મેલેરિયાના બે (વર્ષના ૩૦), ડેંગ્યુના ૨૪ (વર્ષના ૨૭૨), ચિકનગુનિયાના ૩ (વર્ષના ૩૦) કેસ મળ્યા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૧૧૨ (વર્ષના ૪૦૦૮૮), સામાન્ય તાવના ૬૭૩ (વર્ષના ૧૫૭૦૬), ઝાડા-ઊલટીના ૧૬૬ (વર્ષના ૧૦૭૮૪) ઉપરાંત ટાઈફોઈડના ૩ (વર્ષના ૭૯) કેસ નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે રોગચાળાનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે જે પ્રમાણે પાછલા બે સપ્તાહથી મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ મળી રહ્યો ન્હોતો ત્યારે નવરાત્રિ પૂર્ણ થતાં જ ચિકનગુનિયા અને મેલેરિયાનો કેસ મળતાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર ઉંધા માથે થઈ જવા પામ્યું છે. દિવાળી એકદમ નજીક છે બરાબર ત્યારે જ રોગચાળાએ માથું ઉંચકતાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.