સત્ય-પ્રેમ-કરુણા: ૧૨ વર્ષ બાદ રાજકોટમાં મોરારિબાપૂની રામકથા
જામનગર રોડ ઉપર ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્સમાં ૨૩ નવે.થી ૧ ડિસેમ્બર સુધી કથાનું આયોજન
બાપૂની કથા રાજકોટમાં યોજાય તે માટે છેલ્લા છ મહિનાથી થઈ રહ્યા હતા પ્રયત્ન: દરરોજ ૫૦,૦૦૦થી વધુ લોકો કથાશ્રવણ કરશે-પ્રસાદ લેશે
રાજકોટના આંગણે ૧૨ વર્ષ બાદ પ્રખર રામાયણી મોરારિબાપૂની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ૩૦૦ કરોડના ખર્ચે ૩૦ એકર જગ્યામાં તૈયાર થઈ રહેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ કથા યોજાઈ રહી છે. તા.૨૩ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથાનું આયોજન થશે જેમાં દરરોજ ૫૦,૦૦૦થી વધુ ભાવિકો કથાશ્રવણ કરશે અને એક જ પંગતમાં ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.
રાજકોટમાં મોરારિબાપૂની રામકથાનું આયોજન થાય તે માટે છેલ્લા છ મહિનાથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પ્રયત્ન ચાલી રહ્યા હતા જેમાં સોમવારે સફળતા મળી હતી અને મોરારિબાપૂએ રાજકોટમાં કથા માટે સમય ફાળવતાં જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ કરોડના ખર્ચે જે વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યો છે જેમાં ૧૪૦૦ રૂમ અને ૫૦૦૦ પથારીવશ વડિલોને આજીવન સાચવવામાં આવશે. આ વૃદ્ધાશ્રમના લાભાર્થે જ રાજકોટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં કથાના નવ દિવસ દરમિયાન શું શું કાર્યક્રમ યોજાશે તેની જાહેરાત કરવામાં આવશે.