AAPએ ભાવનગરના ઉમેદવાર પણ જાહેર કરી દીધા
કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું ભેગું થાય એવું લાગતું નથી
ભરૂચ બેઠક પર ચૈતર વસાવા પછી હવે ભાવનગરની બેઠક ઉપર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર
બંગાળ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં ઇન્ડીયા ગઠબંધન નિષ્ફળ ગયા પછી હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેચણીનો મામલો પેચીદો બન્યો છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે, હાલમાં બંને પક્ષ વચ્ચે વાતચીત ચાલુ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતની બે બેઠકો ઉપર પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આવા સંજોગોમાં એવું લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં પણ બંને પક્ષ વચ્ચે મનમેળ થયો નથી.
આમ આદમી પાર્ટીએ આજે ભાવનગરની બેઠક ઉપર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેશ મકવાણા હાલમાં બોટાદના ધારાસભ્ય છે અને હવે તેને લોકસભાની ભાવનગર બેઠકના ઉમેદવાર બનાવાયા છે. આ પહેલા ભરૂચની બેઠક ઉપર ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સુત્રોએ એમ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી હજુ બે-ત્રણ દિવસમાં અન્ય ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી શકે છે. આમ આદમી પાર્ટી કુલ ૮ બેઠક લડશે તેવું લાગી રહ્યું છે.
દરમિયાન ભાવનગરથી મળતા સંદેશા અનુસાર, ભાવનગરની બેઠક ઉપર આપના ઉમેદવાર જાહેર થઇ ગયા છે અને જો ગઠબંધન થશે તો કોંગ્રેસના નેતાઓ લટકી જશે. આ કારણોસર, સ્થાનિક કોંગી આગેવાનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.