ટચુકડું ડિવાઇસ કહી દેશે કે, તમે ખુશ છો કે ચિંતિત : રાજકોટના પ્રોફેસરની અનોખી શોધ
યુવા પ્રોફેસરે બનાવેલું ડિવાઇસ તમારો અવાજ અને ચહેરો બખૂબી વાંચી લેશે : પેટન્ટ રજીસ્ટર્ડ કરાયા
આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ ક્યારે ક્યુ પગલું ભરી લે છે તે કહેવું મુશ્કેલ છે ત્યાર રાજકોટના યુવા પ્રોફેસરે એઆઈ ટુલની મદદથી એક એવું અનોખું ડિવાઇસ વિકસાવ્યું છે. આ ડિવાઇસ કોઈપણ વ્યક્તિનો ચહેરો જોઈ તે વ્યક્તિ ચિંતિત છે કે, ખુશ છે તે આસાનીથી ઓળખી બતાવશે. હાલમાં આ અનોખા કહી શકાય તેવા ડિવાઇસની પેટન્ટ પણ રજીસ્ટર્ડ કરી લેવામાં આવી છે.
રાજકોટમાં રહેતા પ્રોફેસર ડો.હિરેન મહેતા પોતાના નવા સંશોધન અંગે જણાવે છે કે, એઆઈ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલ ડિવાઇસ વડે સામેવાળી વ્યક્તિના ઈમોશન્સને જાણી શકાય છે. આજના સમયમાં આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવો વધી રહ્યાં છે અને આ કેસો મોટાભાગે વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળી રહ્યાં છે. એવામાં આ ડિવાઇસની મદદથી આપણે સામેવાળા વ્યક્તિના ઈમોશન્સને જાણી શકીશું.વધુમાં તેઓ જણાવે છે કે તેમના ડિવાઇસ માટે પેટન્ટ મંજૂરી મળી ગઈ છે.આગામી 7થી 8 મહિનામાં આ ડિવાઇસ બની જશે.

પ્રોફેસર ડો.હિરેન મહેતા ઉમેરે છે કે, ઘણી વખત એવું થાય છે કે જે તે વ્યક્તિ હજુ તો આપણી સાથે વાત કરતો હોય અથવા તો આપણી સાથે હોય અને બીજા દિવસે તેને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળે ત્યારે આપણને આંચકો લાગે છે, આવી ઘટનાઓ ન બને અથવા ઓછી બને તે મટે તેઓ છેલ્લા 7-8 મહિનાથી આ ડિવાઈસ પર કામ કરી રહ્યાં હતાં જેમાં સફળતા મળતા હાલમાં તેઓએ એઆઈ પાવર સપોર્ટર આસિસ્ટન્ટ કરીને પેટર્ન રજિસ્ટર કરાવી છે. ડો.હિરેન મહેતાની આ સિદ્ધિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલ ડોડિયાએ પણ બિરદાવી છે.
અંતમાં તેઓ ઉમેરે છે કે, જ્યારથી મોબાલઈનો વપરાશ વધ્યો છે.ત્યારથી દરેક વિદ્યાર્થીમાં ગુસ્સાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ ખુશ છે કે ગુસ્સામાં તે જાણવા માટે આ ડિવાઈસ મહત્વનું સાબિત થશે સાથે જ આ ડિવાઇસ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જેલમાં રહેતા કેદીઓ માટે ખાસ ઉપયોગી થનાર હોવાનું જણાવી આ ટચુકડા ડિવાઈસની મદદથી જે તે વ્યક્તિના અવાજ અને ફેસ રિડિંગ પરથી વ્યક્તિની મનોસ્થિતિની જાણકારી મળી શકશે.