જાગો લેઉવા પટેલ જાગો…ની અપીલ સાથેની પત્રિકાથી નવો જ વિવાદ
રાજકોટમાં લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાના બદઈરાદો
ભાજપના નેતાઓ પોલીસ કમિશનર પાસે દોડી ગયા અને આવી પત્રિકા પ્રસિદ્ધ કરનાર સામે પગલાં લેવા કરેલી રજૂઆત
પત્રિકામાં રાજકોટની સીટને ફરી પાછી લેઉવા પટેલની પરંપરાગત સીટ બનાવવા અપીલ
ભાજપના ઉમેદવારે લેઉવા પટેલને ગોધરીયા' અને કેશુભાઈને
ભાદરવાના ભીંડા’ કહ્યા હતા તેવો ઉલ્લેખ
રાજકોટ સહિત ગુજરાતની ૨૬ લોકસભા બેઠક ઉપર મંગળવારે મતદાન થવાનું છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રચાર-પ્રસાર માટે તાકાત લગાવાઈ રહી છે. રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે બળતામાં પત્રિકારૂપી ઘી હોમાયું છે. અહીં ભાજપ તરફથી કડવા પટેલ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે તો કોંગ્રેસ દ્વારા લેઉવા પટેલ ઉમેદવાર પરેશ ધાનાણીને ઉતારીને જંગ રોમાંચક બનાવી દેવાયો છે. આ બધાની વચ્ચે હવે લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવી પત્રિકા આગની જેમ વાયરલ થવા લાગતાં મોટો વિવાદ શરૂ થઈ ગયો છે જેને પગલે ભાજપ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી પત્રિકા બનાવી વાયરલ કરનાર સામે આકરાં પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના મારતી મોટરે પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરીને જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા તેમજ વોટસએપ ગ્રુપમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ તેના મળતિયાઓ દ્વારા કાવતરું ઘડી બદઈરાદાથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હાની પહોંચાડવા તેમજ પરેશ ધાનાણીના સપોર્ટમાં સહાનુભૂતિ ઉભી કરવાના ઈરાદાથી એક નનામી પત્રિકા તૈયાર કરાવી તેમાં `જાગો લેઉવા પટેલ જાગો’ સહિતનું લખાણ વાયરલ કરાવ્યું છે જે ચૂંટણીના તંદુરસ્ત માહોલને હાનિકર્તા છે.
પત્રિકામાં લખવામાં આવ્યું છે કે ” આ વખતે રાજકોટની સીટ ઉપર આપણા લેઉવા પટેલના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે તો શું આપણા ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરા ? ખાતરી છે કે નહીં જ કરે તો જાગો લેઉવા પટેલો અને પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરો.”
આ સહિતનું વિસ્તૃત લખાણ લખવામાં આવ્યું છે જેથી આ પત્રિકા કોમ્પ્યુટરમાં તૈયાર કરનાર, કરાવનાર તેમજ સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર, વાયરલ કરનાર, કરાવનાર તેમજ તેની નીચે સોશ્યલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.
શું શું લખાયું છે પત્રિકામાં ?
- ભાજપ ઉમેદવાર જે સમાજના છે તે લોકો એવું અભિમાન કરે છે કે આપણે સામાજિક તેમજ રાજકીય રીતે સંગઠિત રહેવામાં તેમનાથી પચાસ વર્ષ પાછળ છીએ
- જ્યારે લેઉવા પટેલ સમાજના મતની જરૂર હોય ત્યારે લેઉવા-કડવા એક છીએ તેવી વાતો કરતા આ લોકો ભૂતકાળમાં આપણને નાથદ્વારા સમાજમાં રૂમ પણ આપતા નહીં
- બે દાયકા પછી રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે એટલા માટે ફરી આ બેઠકને લેઉવા પટેલની પરંપરાગત સીટ બનાવીયે
- ભાજપના ઉમેદવાર પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે જૂનાગઢમાં ભાજપના જ એક કાર્યક્રમમાં લેઉવા પટેલને ગોધરીયા કહ્યા હતા
- ૨૦૧૨માં લેઉવા પટેલ સમાજના હૃદય સમ્રાટ કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહી અપમાનિત કર્યા હતા
- ૨૦૧૫માં પાટીદાર આંદોલન વખતે પટેલોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા હતા તેનો સૌથી વધુ ભોગ લેઉવા પટેલ સમાજ બન્યો છે