રાજકોટમાં ત્રિકોણબાગે મચ્છોધણી હોટેલ પાસે ગંદકી દેખાતા હોટેલ કરાઈ સીલ…જુઓ
કોઈપણ ભોગે રાજકોટને ચોખ્ખું-ચણાંક કરવાની ઝુંબેશ સાથે મહાપાલિકાની ટીમ દોડધામ કરી રહી છે. દરરોજ અલગ-અલગ વિસ્તારમાં સફાઈ પણ કરાઈ રહી છે પરંતુ લોકોમાં સફાઈ પ્રત્યે કોઈ જ જાગૃતતા ન હોય તેવી રીતે સફાઈ થયા બાદ તુરંત જ ત્યાં ગંદકી કરવામાં આવી રહી છે. આવો જ ગંદકીનો એક ઢગલો ત્રિકોણબાગ પાસે આવેલી મચ્છોધણી હોટેલ પાસે થઈ રહ્યો હોવાનું ખુદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલના ધ્યાન પર આવતાં તેમણે તાત્કાલિક સ્ટાફને રાત્રે જ દોડાવીને હોટેલને સીલ કરાવી દીધી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મચ્છોધણી હોટેલ દ્વારા આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેરમાં જ ગંદકી કરાઈ રહી હતી તેમજ કચરો ફેંકવામાં આવી રહ્યો હતો. આ અંગે ગત ૨૩ ઑક્ટોબરે તેને નોટિસ ફટકારી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો સાથે સાથે ગંદકી ન થાય તે માટે હોટેલ સંચાલકને વારંવાર સુચના અપાઈ હતી આમ છતાં ૨૬ ઑક્ટોબરની રાત્રે મ્યુનિ.કમિશનર ત્રિકોણ બાગ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ધ્યાન પર હોટેલ બહાર બેફામ ગંદકી ધ્યાને પડતાં તેમણે તાત્કાલિક એક્શન લઈ હોટેલને સીલ મારવાનો આદેશ આપતાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. હવે સીલ થયેલી આ હોટેલ ખોલવા માટે અંદાજે એક સપ્તાહનો સમય વીતી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાત્રે કચરો ફેંકતા પહેલાં ધ્યાન રાખજો, પોલીસની જેમ જ મનપા પકડશે !
દરમિયાન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં ૧૧૫ જેટલા ન્યુસન્સ પોઈન્ટ આવેલા છે જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ વિસ્તારના લતાવાસીઓ દ્વારા રાત્રીના સમયે કચરો ફેંકવામાં આવી રહ્યો છે. અત્યારે સફાઈ અભિયાન ચાલી રહ્યું હોવાથી દરરોજ ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો એકઠો કરી તેનો નિકાલ કરાઈ રહ્યો છે પરંતુ આમને આમ ચાલતું રહે તે પણ વ્યાજબી ન હોવાથી હવે એક ફ્લાઈંગ સ્કવોડ તૈયાર કરવામાં આવશે જે ન્યુસન્સ પોઈન્ટની આસપાસ જ તૈનાત રહેશે અને ખાસ કરીને રાત્રીના સમયે જેવું કોઈ કચરો ફેંકશે કે પોલીસની જેમ જ તેને પકડીને સ્થળ પર જ દંડની વસૂલાત કરશે !!
વધુ ૧૧૫ ન્યુસન્સ પોઈન્ટ પરથી ૩૨૫૦૦ કિલો કચરો નીકળ્યો
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના ૧૧૫ ન્યુસન્સ પોઈન્ટની દરરોજ કરવામાં આવી રહેલી સફાઈ દરમિયાન શુક્રવારે ત્રણેય ઝોનના ન્યુસન્સ પોઈન્ટ પરથી ૩૨૫૦૦ કિલો કચરો એકઠો કરી તેનો નિકાલ કરાયો હતો. આવી જ રીતે ગંદકી ફેલાવતાં ૫૯ લોકો પાસેથી દંડની વસૂલાત કરાઈ હતી તો વધુ ૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૪૫૦૦ કિલો કચરો એકઠો કરવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.
જાહેરમાં થૂંકનારા પણ નહીં બચે: ૯૩ ઝપટે ચડ્યા
મહાપાલિકા દ્વારા જ્યાં ત્યાં થૂંકીને રોગને ખુલ્લી આમંત્રણ આપતાં લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સીસીટીવી કેમેરા મારફતે ૯૩ લોકોને દંડરૂપી મેમો મોકલવામાં આવ્યો છે અને જો આ લોકો દંડની ભરપાઈ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.