રાજકોટમાં ભાડાના મકાનમાં ચાલતી ૬૩ આંગણવાડી `પોતાની’ મિલકતોમાં ખસેડાશે
દરેક આંગણવાડીમાં વોટર કુલર-પ્યુરિફાયર સહિતની સુવિધા ઉભી કરાશે
મહાપાલિકા દ્વારા અત્યારે ૩૬૪ આંગણવાડીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાંથી ૬૩ આંગણવાડીઓ એવી છે જે ભાડાના મકાનમાં ચાલી રહી છે. આ આંગણવાડીઓને તબક્કાવાર રીતે મહાપાલિકા હસ્તકની હયાત મિલકતોમાં ખસેડવામાં આવશે અથવા તો તેના માટે નવું બાંધકામ કરવામાં આવશે. આ માટે બજેટમાં ૩ કરોડની જોગવાઈ કરાઈ ચે. જ્યારે તમામ આંગણવાડીમાં વોટર કુલર, પ્યુરિફાયર તેમજ સબમર્સિબલ પંપ સહિતની સુવિધા માટે ૨.૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
માધાપર-મોરબી રોડ પર બનશે બે નવા સ્મશાન
મોરબી રોડ પર આવેલા જય જવાન જય કિસાન સોસાયટીની પાછળના વિસ્તાર તેમજ માધાપર વિસ્તારમાં નવું સ્મશાન બનાવવા માટે ૪.૫ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
દોઢ કરોડના ખર્ચે ૮૦ ફૂટ-કૂવાડવા રોડ પર કરાશે સેન્ટ્રલ લાઈટિંગ
ઈસ્ટ ઝોનમાં ૮૦ ફૂટ રોડ પર સેટેલાઈટ ચોકથી રેલવે ટે્રક પૂરો થાય ત્યાં સુધી તેમજ કૂવાડવા રોડ પર જૂના જકાતનાકાથી મહાપાલિકાની હદ સુધીના રસ્તા પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઈટિંગ કરવામાં આવશે. આ માટે દોઢ કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરાયો છે.
મનપા વર્ષે ૧૫ કરોડનો મહેસૂલી ખર્ચ બચાવશે
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૨૦૨૪-૨૫ના બજેટના કદમાં ૨૮ કરોડનો વધારો કરાયો છે ત્યારે આ વધારાને પહોંચી કેવી રીતે વળાશે તે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે ત્યારે ચેરમેને કહ્યું કે મહાપાલિકા દર વર્ષે પેટ્રોલ-ડીઝલ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ સહિતનો ૧૫ કરોડનો મહેસૂલી ખર્ચ બચાવી વધારાને પહોંચી વળવા પ્રયત્ન કરશે.