રાજકોટના 2 સહીત રાજ્યના 44 મામલતદાર ડેપ્યુટી કલેકટર બન્યા
રાજ્ય સરકારે ડેપ્યુટી કલેકટર-મામલતદારની બઢતી -બદલીનો ઘાણવો કાઢ્યો
326 અધિકારીઓની બદલી વચ્ચે 85 નાયબ મામલતદાર બન્યા મામલતદાર
મોરબી : ગુજરાત સરકારે લાંબા સમય બાદ ગઈકાલે મોડી સાંજે 326 ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી અને બઢતી અંગેના ઓર્ડર કર્યા હતા જે અન્વયે 44 મામલતદારને ડેપ્યુટી કલેકટર તરીકે પ્રમોશન આપવામાં આવતા રાજકોટ ડિઝસ્ટર વિભાગના મામલતદાર હિમાંશુ ચૌહાણને દ્વારકા મંદિરના એડમિનિસ્ટ્રેટર તરીકે તેમજ રાજકોટ દક્ષિણ મામલતદાર જે.વી. કાકડીયાને મોરબી પુરવઠા અધિકારી તરીકે મુકરવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના નાયબ મામલતદાર મીરાબેન જાનીને મામલતદારનું પ્રમોશન આપી પોરબંદર ખાતે મુકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે ગઈકાલે મોડી સાંજે બઢતી બદલીના હુકમો કર્યા હતા જેમાં 44 મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે પ્રમોશન આપી 85 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે. કુલ મળી 326 અધિકારીઓની બદલી – બઢતી અંગે હુકમ કરવામાં આવ્યા હતા. આ બદલી હુકમ અન્વયે રાજકોટ દક્ષિણ મામલતદાર મામલતદાર જે.વી.કાકડીયાને ડીએસઓ તરીકે મુકવામાં આવ્યા છે તેમજ રાજકોટ ડિઝસ્ટર વિભાગના મામલતદાર હિમાંશુ ચૌહાણને દ્વારકા મંદિરના એડમિનિસ્ટ્રેટર તરીકે મુકવામાં આવ્યા હતા.
બઢતી -બદલીના આ ઘાણવામાં પોરબંદર નાયબ ચૂંટણી અધિકારી પ્રિયંકકુમાર ગલચરની રાજકોટ ડેપ્યુટી ડીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જયારે સ્ટેમ્પ ડ્યુટી ગ્રામ્ય ડેપ્યુટી કલેકટર ક્રિષ્નાબેન પટેલની બદલી કરી તેમની જગ્યાએ મહુવાના પ્રાંત અધિકારી ઇશિતા મેરને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લાની માણાવદર, પડધરી મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમાની ધારી, જામકંડોરણા મામલતદાર કે.બી.સાંગાણીની લીલીયા ખાતે, લોધીકા મામલતદાર દિનેશકુમાર ભાડની ગાંધીનગર ખાતે, ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણીની મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે, ધોરાજી મામલતદાર અલ્પેશ જોશીની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે.
સાથે જ આ બદલી હુકમ અન્વયે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલતદાર ભીખાભાઈ કોટકપરાને જામકંડોરણા મુકવામાં આવ્યા છે. જ્યારે લાલપુર મામલતદાર ચેતન ચાવડાની ચૂંટણી શાખા-રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. મોરબી મામલતદાર નિખિલ મહેતાને રાજકોટ કલેક્ટર કચેરીમાં પીઆરઓ તરીકે, ટંકારા મામલતદાર કેતન સખીયાને પડધરી મામલતદાર તેમજ બાબરા મામલતદાર જે.ડી.જાડેજાની પ્રમુખ ઓફિસર જમીન સંપાદન-રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાંથી પ્રમોશન લઈને આવેલા અજીતકુમાર જોષીને મામલતદાર-રાજકોટ (પશ્ર્ચિમ) તરીકે મુકવામાં આવ્યા છે.