વતનની વાટ : હોળીના તહેવારમાં રાજકોટથી 40 એક્સ્ટ્રા બસ દોડાવાશે
દાહોદ ગોધરા વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગનું આયોજન
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી તેમજ ઉદ્યોગોમાં રોજગારી મેળવતા શ્રમિકો હોળી-ધુળેટીના તહેવારમાં દાહોદ,ગોધરા, છોટાઉદેપુર જિલ્લામાં વતનભણી દોટ મુક્ત હોય વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવી 40 એક્સ્ટ્રા બસ દોડાવવા નક્કી કરાયું છે.
પંચમહાલ, દાહોદ,ગોધરા, છોટાઉદેપુર જિલ્લાના વતની આદિવાસી શ્રમિકો રોજીરોટી મેળવવા રાજકોટ, જામનગર, મોરબી સહિત જુદા જુદા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે,ખાસ કરીને હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતન જવા એસટી બસનો મહત્તમ ઉપયોગ કરતા હોવાથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે.રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક કલોત્રાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદિવાસીઓ સહિતના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા હોય મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે રાજકોટથી ગોધરા, દાહોદ, બારીયા, ઝાલોદ લુણાવાડા, સહિતના ડેપો સુધી લાંબા અંતરની શનિવારથી 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.40જેટલી બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ સમયે મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
