ડેન્ગ્યૂના કારણે 4 વર્ષની બાળકીનું મોત,રાજકોટમાં સૌથી નાની વયે આંખોનું દાન
હાલ ચોમાસાની ઋતુ સાથે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ત્યારે રાજકોટમાં ભાવનગર રોડ ઉપર રહેતા ચેતનભાઈ બદરખીયાની ચાર વર્ષની પુત્રી રિયાનું ડેન્ગ્યૂના કારણે મોત થયું હતું. બાળકીને બે દિવસ પહેલા ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નહિ નિવડતા તેનું મોત થયું હતું. મૃત્યુ પામનારી 4 વર્ષની એકની એક પુત્રીની આંખોનું દાન કરતા રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા બાળકીના પિતાએ આ નિર્ણય લઈ એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી હતી. શ્રમિક પરિવારે પોતાની બાળકીની આંખનું દાન કર્યું હતું.
ચાર વર્ષની રિયાને બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો જેથી ડોક્ટર પાસે દવા લીધી હતી બાદમાં તબિયત પણ સુધરી ગઈ હતી. પરંતુ ગત મંગળવારે તબિયત ફરી બગડતાં એ જ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં રીયાને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી આ બાળકીની હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ હતી. એવામાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. જેને લઇને રાજકોટ કોર્પોરેશન તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.બીજી તરફ ડેન્ગ્યૂના કારણે ચાર વર્ષની બાળકીનું મોત થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઘોડા નાસી જાયને તબેલાંને તાળાં મારવાની જેમ વિસ્તારમાં સઘન ફોગિગ સહિતની કામગીરી કરી રહ્યું છે.