300 કાલાવડ રોડ પર મીટરની હાઇટ ધરાવતી ગગનચુંબી ઇમારત
રાજકોટના બિલ્ડર નેવિલ સુબા અને ઉદ્યોગપતિ ભરત સોનવાણીનું સાહસ
૫૦ માળ ધરાવતી બિલ્ડિંગમાં ૧૬૮ ફ્લેટ અને ૧૮ પેન્ટહાઉસ બનશે
રાજકોટમાં ૨૨ માળની ઈમારતો બની ગઈ છે અને ૪૦ માળની ઈમારતની તૈયારી ચાલી રહી છે ત્યારે રાજકોટના બે યુવા બિલ્ડરોએ રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતની સૌથી ઉંચી ઈમારત બનાવવાનું બીડુ ઝડપ્યુ છે. રાજકોટના યુવા બિલ્ડર નેવિલ સુબા અને જગદીશ ટે્રડીંગ કંપનીનાં યુવા ઉદ્યોગપતિ ભરત સોનવાણીએ એકમ રિયલ્ટીના નેજા હેઠળ ૭૦ માળની હાઈટ ધરાવતી ઈમારત `એકમ ધ એલટીટ્યુડ’નું પ્લાનિગ કર્યું છે અને તેનું ખાતમુહુર્ત ૧લી સપ્ટેમ્બરના રોજ કરવાનું નક્કી કર્યું છે. આ બિલ્ડીંગ ૩૦૦ મીટર હાઈટ ધરાવતું હશે અને તે ૫૦ માળ ધરાવતું હશે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ, સ્ટ્રકચરલ એન્જીનીયર અને ક્નસલ્ટન્ટની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.
આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટના સંચાલક નેવિલ સુબાએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આવી રહી છે ત્યારે લોકોને લેવીશ લીવીંગ મળી રહે તે માટે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. કાલાવડ રોડ ઉપર જડુસની સામેના ભાગે ગાયત્રીમંદિર પાસે વિશાળ જગ્યામાં આ પ્રોજેક્ટ આકાર લેશે. અમને ૯૮ માળની ઉંચાઈ જેવડી ઈમારત બાંધવા માટે મંજુરી મળી છે પરંતુ અમે ૭૦ માળની હાઈટ ની ઈમારત બનાવવા જઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય ઈમારતમાં ૧૬૮ ફ્લેટ્સ હશે અને તે ફોર બી.એચ.કે. ના હશે અને તેનો વિસ્તાર ૪૨૦૦ ફૂટનો હશે. આ ઈમારતમાં ૧૮ જેટલા પેન્ટહાઉસ પણ હશે અને તેનો એરિયા ૭૫૦૦ ફૂટમાં હશે. સમગ્ર ગુજરાતમાં ૩૦૦ મીટરની હાઈટ ધરાવતી એક પણ ઈમારત નથી અને આ પહેલી ઈમારત રાજકોટમાં બનશે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના ખ્યાતનામ આર્કિટેક્ટ હિતેન શેટ્ટી કામ કરી રહ્યા છે. સ્ટ્રકચરલ અંગેની કામગીરી પણ મુંબઈની જે. ડબલ્યુ કંપની દ્વારા કરવામાં આવશે અને ક્નસલ્ટન્ટ તરીકે મુંબઈના જ એમ.ઈ.પી. કંપનીનાં પંકજ ધારકર સેવા આપી રહ્યા છે. આ પ્રોજેક્ટ ત્રણ થી ચાર વર્ષમાં પૂરું કરવાની ધારણા છે.
રાજકોટમાં આવી ગગનચુંબી પ્રોજેક્ટ લાવવાનો શ્રેય બે યુવા સાહસિકોને મળી રહ્યો છે અને તેમના ઉપર અભિનંદનની વર્ષા પણ થઇ રહી છે.