જિલ્લાના રેવન્યુતંત્રમાં મામલતદારથી લઈ તલાટી સુધીની 283 જગ્યા ખાલી
8 મામલતદાર, 35 નાયબ મામલતદાર, 140 ક્લાર્ક અને 100 તલાટીની જગ્યા લાંબા સમયથી ખાલી
ચૂંટણીથી લઈ ડિઝાસ્ટર, દબાણ, જાહેર વિતરણ વ્યવસ્થા, કેન્દ્ર-રાજ્ય સરકારના કાર્યક્રમો સહિતની ઓલ ઈન વન કામગીરી કરતા રાજકોટ જિલ્લાના રેવન્યુ તંત્રમાં લાંબા સમયથી મામલતદારથી લઈ રેવન્યુ તલાટી સુધીની 283 જગ્યા ખાલી હોવાથી અન્ય કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે. ખાસ કરીને સિનિયર ક્લાર્કથી લઈ નાયબ મામલતદાર પાસે એકથી વધુ જગ્યા ઉપર કામ લેવાની સાથે રેવન્યુ તલાટીઓને પણ એકથી વધુ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. મહત્વની બાબત તો એ છે કે, જિલ્લાની વડી કચેરી ગણાતી કલેકટર કચેરીમાં જ એક નાયબ કલેકટર અને મામલતદારની સાત-સાત જગ્યા ખાલી પડી છે. જયારે અત્યન્ત મહત્વની ગણાતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી પણ છ મહિનાથી મામલતદાર વગર ચાલી રહી છે.
રાજ્યમાં મહેસુલી કર્મચારીઓની સ્થિતિ વાંદરી પાનાં જેવી છે. પૂર હોનારત હોય કે પછી કોઈપણ આપદાની સ્થિતિ હોય કે પછી ચૂંટણી હોય કે, કેન્દ્ર -રાજ્ય સરકારના કોઈ અધિકારી-પદાધિકારી હોય કે પછી ન્યાયાલયના કોઈ વડા પ્રવાસમાં હોય ત્યારે સઘડી જવાબદારી રેવન્યુંતંત્રના શિરે રહેતી હોય છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા મહેસુલી કચેરીઓને પૂરતું મહેકમ આપવામાં આવતું ન હોવાથી રેવન્યુ કર્મચારીઓ ઓવરબર્ડનનો ભોગ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના સેન્ટરમાં આવેલ રાજકોટ જિલ્લાની પણ કંઈક આવી જ સ્થિતિ છે. હાલમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરી હેઠળની વિવિધ પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં મામલતદારથી લઈ તલાટી સુધીની 283 જગ્યા ખાલી હોય ઇન્ચાર્જને હવાલે ગાડુ ગબડાવી એક-એક કર્મચારીને બે કે તેથી વધુ જવાબદારી સોંપવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં મામલતદારની કુલ 9 જગ્યા છે, જેમાં એક માત્ર ચૂંટણી શાખામાં જ મામલતદારની નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત પ્રોટોકોલ નાયબ કલેકટરની જગ્યા પણ ભરવામાં આવી નથી. એ જ રીતે જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આઈ ઓરા, પ્રોટોકોલ, જનસંપર્ક, ચીટનીશ, અધિક ચીટનીશ અને હક્કપત્રક મામલતદારની આઠ જગ્યા ખાલી છે. આ ઉપરાંત દક્ષિણ મામલતદાર કચેરીમાં પણ છ મહિનાથી મામલતદારની જગ્યા ખાલી પડી હોય રૂટિન કામગીરીને અસર પડી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં જિલ્લામાં 8 મામલતદાર, 35 નાયબ મામલતદાર, 140 ક્લાર્ક અને 100 તલાટીની જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું છે.
એઇમ્સમાં મામલતદારની દરખાસ્ત ના મંજુર
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ રાજકોટ શરૂ થતા જ અહીં મામલતદારની નિમણુંક કરવા જિલ્લા કલેકટર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ સરકારમાંથી એઇમ્સમાં મામતદારની નિમણુંક માટેની દરખાસ્ત ના મંજુર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.