રાજકોટમાં ૨૦૭૧ મિલકતો `ખખડધજ’, નોટિસ બાદ માત્ર ૧૨એ કરાવ્યું રિપેરિંગ !
હજુ પણ `સર્વેશ્વર ચોકવાળી’ થાય તેની રાહમાં મહાપાલિકા ?
સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૧૦૧ મકાનો ખખડી ગયેલા હોવાનો ખુલાસો: અત્યાર સુધીમાં મહાપાલિકાએ ૧૭૯૨ નોટિસ ફટકારી જેની કોઈ જ અસર નહીં: ૨૪ના નળજોડાણ કાપી લેવાયા, તો અમુક મિલકતો તોડી પડાઈ
સર્વેશ્વર ચોકમાં રવિવારની રાત્રે નાલા પરનો સ્લેબ તૂટી પડતાં એકસાથે ૩૦ લોકો ગંદા પાણીમાં ખાબકતાં અનેકને નાની-મોટી ઈજા થઈ તો એક વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના પાછળ આમ તો સૌથી પહેલી જવાબદારી `ધનપ્રેમી’ બિલ્ડરોની જ ગણી શકાય કેમ કે તેમણે જ તેમની કંજુસાઈને કારણે બિલ્ડિંગને રિનોવેશન કરવાની તસ્દી લીધી ન્હોતી સાથે સાથે તંત્ર પણ એટલું જ જવાબદાર ગણાશે કેમ કે તેણે લાલ આંખ કર્યા વગર બિલ્ડરોની સોડ તાણવાનું પસંદ કર્યું હતું ! આ ઘટના બન્યા બાદ હવે એવો ખુલાસો થયો છે કે શહેરમાં હાલના તબક્કે ૨૦૭૧ મિલકતો ખખડધજ હાલતમાં છે પરંતુ તેને દુરસ્ત કરવા કે તોડી પાડવા માટે તંત્ર દ્વારા હદ બહારની આળસ કરવામાં આવી રહી છે જે ભવિષ્યમાં મોટી દૂર્ઘટના નોંતરી શકે છે.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૭૫૦, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦૧, વેસ્ટ ઝોનમાં ૨૨૦ મિલકતો એવી છે જે ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં છે. આ અંગેની તપાસ કર્યા બાદ તંત્ર દ્વારા ઈસ્ટ ઝોનમાં ૭૫૦, સેન્ટ્રલ ઝોનમાં ૮૨૨ અને વેસ્ટ ઝોનમાં ૨૨૦ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. એકંદરે અત્યાર સુધીમાં કુલ ૧૭૯૨ લોકોને આ પ્રકારે નોટિસ અપાઈ છે. જો કે આશ્ચર્યજનક રીતે કહી શકાય તેવી રીતે નોટિસ ફટકાર્યા બાદ ઈસ્ટ ઝોનમાં ૫, સેન્ટ્રલ ઝોનમાં ૭ મિલકત ધારકો મળીને કુલ ૧૨ ધારકો એવા છે જેમણે કાં તો પોતાનું જર્જરિત આવાસ તોડી પાડ્યું છે અથવા તો રિપેરિંગ કરાવ્યું છે ! આ ઉપરાંત નોટિસ આપ્યા બાદ કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરનારા વેસ્ટ ઝોનના ૨૪ મિલકત ધારકોના નળ કપાત કરવામાં આવ્યા છે જ્યારે ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનો ખુલાસો થયો છે.
જર્જરીત આવાસોનો સર્વે કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડીંગ
તાજેતરમાં જ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં શહેરમાં આવેલા તમામ જર્જરીત આવાસો તેમજ મિલકતોનો સર્વે કરવાની દરખાસ્ત એજન્ડામાં સમાવિષ્ટ હતી. જો કે આ સર્વે કરવાના બદલામાં એજન્સી દ્વારા જે ભાવ ભરવામાં આવ્યો હતો તે કમિટીને `માફક’ ન આવતાં દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી. હવે જ્યારે સર્વેશ્વર ચોકની ઘટના બની છે ત્યારે આવતી સ્ટેન્ડિંગ બેઠકમાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
થોડા સમય માટે બાંધકામ સહિતની શાખાઓ પણ કરી શકે `તપાસ’નું નાટક !
સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બાદ મનપાની બાંધકામ, ટીપી સહિતની શાખાઓની ઉંઘ ઉડી છે અને હવે જર્જરીત મિલકતોની તપાસ શરૂ કરી દીધી છે ત્યારે તપાસના નામે આ પ્રકારનું નાટક હજુ થોડા સમય માટે ચાલું રહી શકે છે અને જેવો મામલો ઠંડો પડશે કે ફરી હતા ત્યાં ને ત્યાં જ આવીને રહી જાય તેવી રોષ સાથેની શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.