નાનામવાના ૧૧૮ કરોડના પ્લોટનો સોદો રદ્દ ખરીદનારના ૧૮ કરોડ `સ્વાહા’
સ્ટેન્ડિંગ કમિટીએ વધુ એક મુદ્દત આપ્યા છતાં પૈસા ભરપાઈ નહીં કરતાં
લેવાયો નિર્ણય: હવે સોનાની લગડી જેવા પ્લોટનું વેચાણ નહીં કરવા કવાયત
મહાપાલિકાના ઈતિહાસનો સૌથી મોંઘો સોદો નાનામવા પાસે આવેલા પ્લોટનો થયો હતો. ૨૦૨૧માં આ સોદો ૧૧૮ કરોડ રૂપિયામાં થયો હતો. ટીપી સ્કીમ નં.૩ (નાનામવા)માં વાણીજ્ય-રહેણાક હેતુના પ્લોટની ખરીદી ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. આ સોદો થયાને ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં માત્ર ૧૮ કરોડ+જીએસટીનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાથી સોદો રદ્દ કરવા મ્યુનિસિપલ કમિશનરે ગત સ્ટેન્ડિંગ બેઠકમાં જ દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે તે સમયે કમિટીએ વધુ એક બેઠક મળે ત્યાં સુધીની મુદ્દત આપી હતી પરંતુ ત્યાં સુધી મતલબ કે આજ સુધીમાં પૈસા નહીં ભરાતાં આખરે આ સોદો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે સાથે સાથે ખરીદનારે ભરેલી ૧૮ કરોડની રકમ પણ જપ્ત કરી લેવાનું નક્કી કરાયું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે પ્લોટ ખરીદનારને એક નહીં બલ્કે અનેક વખત ચૂકવણું કરવા માટે મુદ્દત આપવામાં આવી હતી પરંતુ તેઓ રકમ ભરપાઈ કરવામાં પહોંચી શક્યા ન્હોતા એટલા માટે કમિટીએ સોદો રદ્દ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
જ્યારે પ્લોટ ખરીદનાર ગોપાલ ચુડાસમાએ જણાવ્યું કે આ મામલે તેઓ આગામી સમયમાં પત્રકાર પરિષદ યોજીને મહાપાલિકા દ્વારા કરાયેલી `રમત’ ઉજાગર કરશે !
ઉલ્લેખનીય છે કે પ્લોટ ખરીદનારના કહ્યા પ્રમાણે તેમને જ્યારે જમીન વેચવામાં આવી ત્યારે જ તે વિવાદિત હતી આમ છતાં સોદો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ મહાપાલિકાનો દાવો છે કે આ જમીન ચોખ્ખી હતી ત્યારે જ તેનું વેચાણ કરાયું હતું. આ બધાની વચ્ચે ખરીદનાર ગોપાલ ચુડાસમાના ૧૮ કરોડ રૂપિયા જપ્ત થઈ જતાં આ મામલે કોર્ટ મારફતે લડતના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
પે એન્ડ પાર્કિંગની ૩૩ સાઈટ ભાડે આપી ૧.૩૪ કરોડ કમાશે મનપા
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૩ અરજન્ટ બિઝનેસ ઉપરાંત એજન્ડામાં સામેલ ૮૭ દરખાસ્તો અંગે નિર્ણય લીધો હતો. આ પૈકી શહેરમાં સુવ્યવસ્થિત વાહન પાર્કિંગ માટે ૩૩ સાઈટને બે વર્ષ માટે ભાડે આપવાની દરખાસ્તને કમિટીએ બહાલ રાખી હતી. આ પેટે મનપાને ૧.૩૪ કરોડની આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ ઉપરાંત હોસ્પિટલ ચોકના બ્રિજ માટે વધારાનો ૧.૭૭ કરોડનો ખર્ચ પણ મંજૂર કરાયો છે.
સાંઢિયા પુલનું કામ શરૂ નથી થયું ત્યાં ૧૩ કરોડ વધી ગયા
મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર સાંઢિયા પુલને તોડી પાડી તેની જગ્યાએ નવો ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું હતું જેમાં મે.ચેતન ક્નસ્ટ્રક્શન કંપનીને ૧૮.૭૫% `ઓન’થી કામ આપવાનું નક્કી કરાયું હતું જેના કારણે બ્રિજના ખર્ચમાં ૧૩ કરોડનો વધારો થઈ ગયો છે. આ બ્રિજનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું ત્યારે જીએસટી સહિત ૬૩ કરોડનો ખર્ચ નિર્ધારિત કરાયો હતો પરંતુ હવે કામ ૭૬,૭૫,૭૦,૬૪૩માં આપવામાં આવ્યું છે.