હવે વિદ્યાર્થીઓનું એટેન્શન ગુજકેટ તરફ…..
એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે 1,37,000 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પૂરી થવામાં છે અને હવે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં પડી જશે. ગુજરાત રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે હોય છે. તથા 1,37,000 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે 10 થી 4:00 વાગ્યા સુધી યોજાશે
રાજ્યમાં 31 માર્ચે 34 કેન્દ્રો CCTVથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. નજીકના કોઈ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષા સ્થળની ચકાસણી કરી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાની કામગીરી માટે જરૂરી સ્ટાફની નિમણૂક સ્થળ સંચાલકે કરીને જિલ્લા શિક્ષણાધિકારી કે બીટ નિરીક્ષક પાસે 3 દિવસમાં બહાલી મેળવવાની રહેશે. બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સ્થળસંચાલક તરીકેની ફરજોનો અભ્યાસ કરી તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના CCTV ચાલુ રહે અને તે માટે પરીક્ષા પહેલા ચકાસણી કરાવી લેવાના રહેશે અને રેકોર્ડિંગ સમયસર લેવાનું રહેશે.
શું હશે પરીક્ષામાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૪ ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
