રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 623 શિક્ષકોની ઘટ
જિલ્લા ફેરબદલીથી 333 શિક્ષકો નવા આવ્યા જ્યારે 186ને છૂટા કરાયા
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલના તબ્બકે 623 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની અસર થઈ રહી છે. જિલ્લામાં બાળવાટીકથી લઈને ધો.8માં સવા લાખ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.
રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટણે કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થાય છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 623 શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.પી.વાણવીએ જણાવ્યું હતું કે, તા.31/7/2022ની સ્થિતીએ 5324 શિક્ષકોનું મંજૂર મહેકમ હતું. હાલની સ્થિતિમાં 4554 શિક્ષકો જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે જિલ્લા ફેરબદલીથી 333 નવા શિક્ષક આવ્યા છે તો 186 શિક્ષકને જિલ્લા ફેરબદલીને કારણે છૂટા કરવામાં આવ્યા છે. આ અગાઉ જિલ્લામાં 770 શિક્ષકોની જગ્યા ખાલી હતી. ત્યારે આજની એટલે કે તા.7/8/2023ની સ્થિતીએ કુલ 623 શિક્ષકોની જગ્યા ખાલી છે. જે નવા શિક્ષકો આવવાના છે તેમાં સામાજિક વિજ્ઞાનના 33 શિક્ષકનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, જિલ્લામાં બાલ વાટિકાથી લઈને ધો.5 સુધીમાં 79,840 જ્યારે ધો.6 થી 8માં 44,184 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકઈ છે અને કેટલીક યોજનાઓ ઉપર કાર્યો કરી રહી છે ત્યારે હાલની સ્થિતિ જોતાં શિક્ષકોની ઘટને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની અસર થઈ રહી છે.