રાજકોટમાં રામ પધાર્યા : હજારો દીવડાઓથી થઇ મહાઆરતી
વિશાળ શોભાયાત્રા બાદ વિરાણી હાઇસ્કૂલમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિનું લોકાર્પણ
અયોધ્યા જેવો માહોલ સર્જાયો: દરરોજ અનેકવિધ કાર્યક્રમો
રાજકોટ મધ્યે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય દિવ્ય મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. આજે આ ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય શોભાયાત્રાનીકળી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા પછી વિરાણી હાઇસ્કુલ ખાતે ઉભા કરવામાં આવેલા ‘રામ મેદાન’ ખાતે સંત ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ) ના હસ્તે પ્રતિકૃતિ સ્વરૂપ અયોધ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાંજે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં ૫૦૦૦ ટુ-વ્હીલર, ૨૦૦૦ ફોર વહીલ, ૧૦૦૦ સાધુ-સંતો વિવિધ ફ્લોટ્સ સાથે રાજકોટના રાજમાર્ગ પર નીકળી હતી. જે યાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રી મેદાન ખાતેથી થયું હતું અને તે માલવિયા ચોક, ભુતખાના ચોક, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક,સ્વામીનારાયણ બ્રીજ, આનંદ બંગલા ચોક, મવડી ચોકડી, બાપા સીતારામ ચોક, આલાપ સોસાયટી, ૮૦ ફૂટ રોડ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, ભારત નગર ચોક, મોકાજી સર્કલ, શાસ્ત્રી નગર, બીગ બજાર, કે.કે.વી.ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, કનૈયા ચોક, હનુમાન મઢી ચોક, આમ્રપાલી ટોકીઝ, કિસાન પરા, જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ પાસેથી પસાર થયા બાદ પુર્ણાહુતી ‘રામ મેદાન'(વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) માં થઇ હતી.
રાજકોટમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું છે. દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ ૧૦૦×૬૫ ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની ઊંચાઈ ૩૫ ફૂટ જેટલી રાખવામાં આવી છે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રીરામની ૫૧ ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવી છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે.
ભવ્ય મહોત્સવમાં સહભાગી થનાર તમામ ધર્મપ્રેમીઓને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી લલાટે તિલક કરવામાં આવશે. જેના માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો અયોધ્યા પ્રવાસ ખેડી અયોધ્યા મંદિર મના ગર્ભગૃહની માટી અને સરયું નદીનું જળ પણ રાજકોટ લઇ આવ્યા છે.
આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજદીપસિહ જાડેજા, ઉપાધ્યક્ષ પૂજાબેન પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ ભટ્ટ, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, મયુરભાઈ શાહ સહિતના હોદેદારોએ વિરાણી હાઇસ્કુલની મુલાકાત લીધી હતી.