ગુજરાત નહિ છોડવાની શરતે પી.ટી.જાડેજાના આગોતરા જામીન મંજૂર..!
રૂ.60 લાખ સામે 70.80 લાખનું વ્યાજ ફરીયાદીએ ચૂકવ્યા બાદ વધુ રૂપિયાની માંગણી કરતા માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાયો ‘તો ગુનો
શહેરના ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂ.60 લાખના કારખાનેદારે રૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ કરતા માલવિયાનગર પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે કેસમાં આરોપી પી.ટી.જાડેજાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરાં જામીન અરજી દાખલ કરતાં અદાલતે ગુજરાત નહિ છોડવા સહિતની જુદી-જુદી શરતોને આધારે જામીન અરજી મંજૂર કરી છે..
આ કેસની હકીકત મુજબ , કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટી ગંગા એપાર્ટમેન્ટ સામે રહેતાં અને જુના માર્કેટીંગ યાર્ડ ઉપર ગજાનન રી-પાવરીંગ નામનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ અમરસિંહભાઈ પરમાને વર્ષ ફેબ્રુઆરી મહીનામાં ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતાં પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) પાસેથી રૂ.૬૦ લાખ ત્રણ મહીનાની મુદ્દતે 3 ટકા લેખે લીધા હતા. જેનું એડવાન્સ વ્યાજ પેટે રૂ.5.40 લાખ કાપી રૂા.29.60 લાખ રોકડા આશાપુરા ફાયનાન્સની ઓફીસ પર આપેલ અને રૂ.25 લાખનું આરટીજીએસ કરી કુલ રૂ.54.60 લાખ તેઓને આપેલ હતા. આ રકમની સિક્યુરિટી પેટે આરોપીએ ફરિયાદી પાસેથી 5-5 લાખના સાત ચેક લખાવી લીધેલ. ફરિયાદીએ વ્યાજ સહિત રૂ.70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે માલવીયાનગર પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડથી બચવા પી.ટી.જાડેજાએ પોતાના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરાં જામીન અરજી દાખલ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અરજી અંગે અદાલતે રાજ્ય છોડવું નહિ તેવી જુદી-જુદી કેટલીક શરતોને આધારે જામીન અરજી મંજૂર કરી છે.