આજથી પરેશ ધાનાણીનો પણ રાજકોટમાં જ મુકામ: બે દિ’માં ૧૭ મંદિર-દરગાહ ફરશે
આજે ખોડલધામ-કાગવડ, જલારામ મંદિર-વીરપુર, રામનાથ મહાદેવ, આશાપુરા માતાજી મંદિર, વાંકાનેર ઉર્ષમાં હાજરી ઉપરાંત ગેબનશાહ પીર દરગાહ સહિતની લેશે મુલાકાત
કાલે રામમંદિર-પોપટપરા, ઝુલેલાલ મંદીર, ચારબાઈ મંદિર-થોરાળાનાં કરશે દર્શન: પડધરી-ટંકારામાં પણ અનેક કાર્યક્રમો: ગુરૂવારે ઉમેદવારી નોંધાવશે
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે લડાયક નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ટિકિટ મળતાં જ પરેશ ધાનાણી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. હવેથી તેમનો રાજકોટમાં જ મુકામ રહેશે અને એક પછી એક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ખાસ કરીને આજથી બે દિવસમાં ધાનાણી ૧૭ મંદિર-દરગાહની મુલાકાત લેનાર હોવાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ધાનાણી આજે બપોરે ૩ વાગ્યાથી રાજકોટ બેઠક માટે પ્રચારના શ્રીગણેશ કરશે. સૌથી પહેલાં તેઓ કાગવડ ખાતે ખોડલધામ મંદિરની મુલાકાત લેશે. આ પછી જલારામ મંદિર-વીરપુર, રામનાથ મહાદેવ-રામનાથપરા, આશાપુરા માતાજી મંદિર-પેલેસ રોડ, વિશ્વકર્માજી મંદિર, વાંકાનેર ઉર્ષમાં હાજરી, વાંકાનેરના વેલનાથ બાપુ, માંધાતા બાપુ મંદિર, કૂવાડવા રોડ પર રણછોડદાસ બાપુ આશ્રમ, જંકશન પ્લોટમાં ગેબનશાહ પીર દરગાહની મુલાકાત લીધા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે હોસ્પિટલ ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કરશે. ત્યારબાદ રાજેશ્રી ટોકીઝ પાસે શ્રી બાલાજી મંદિર અને ત્યાંથી ભૂપેન્દ્ર રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જશે જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રે ૧૦:૪૫ વાગ્યે ચોટીલા દર્શનાર્થે રવાના થશે.
જ્યારે આવતીકાલે સવારે ૮ વાગ્યે તેઓ પોપટપરા ખાતે શ્રી રામ મંદિર, ઝુલેલાલનગરમાં શ્રી ઝુલેલાલ મંદિર, દરબાર ગઢના શ્રી રાણીમા રુડીમા મંદિરની મુલાકાત લીધા બાદ કડિયા નવ લાઈનમાં આવેલા ક.બા.ગાંધીના ડેલાની મુલાકાતે જશે. આ દિવસે પણ તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.
