જમ્મુ -કાશ્મીરને ક્યારે મળશે રાજ્યનો દરજ્જો ?
સુપ્રીમનો કેન્દ્રને સવાલ, 370 સામેની અરજીઓ પર સુનાવણી, પૂલવામા હુમલાને પગલે 370 હટાવી, સરકારનો જવાબ
જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 હટાવવા સામે થયેલી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. આજે સુપ્રીમે કેન્દ્ર સરકારને એવો સવાલ કર્યો હતો કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે અને ક્યારે ચુંટણી થશે.
સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટને કહ્યું હતું કે સરકાર તરફથી એવો નિર્દેશ મળ્યો છે કે લદાખ સ્થાયી રૂપથી કેન્દ્રશાસિત પ્રદેશ રહશે. જ્યારે જમ્મુ કાશ્મીર અસ્થાયી રૂપથી વર્તમાન સ્થિતિમાં રહશે. લદાખના કારગિલ અને લેહમાં સ્થાનિક ચૂટણીઓ થશે.
મહેતાએ ગૃહમંત્રીના લોકસભામાં અપાયેલા જવાબનો હવાલો આપ્યો હતો. જેમાં અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ થઈ જશે. સરકારને તેમાં કોઈ વાંધો નથી.
એ જ રીતે મહેતાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીને લઈને સરકાર 31 ઓગસ્ટ સુધી જવાબ આપવાની છે.
સુનાવણી દરમિયાન આજે સરકારે એવો જવાબ પણ આપ્યો હતો કે પૂલવામા માં જે ભયાનક આતંકી હુમલો થયો હતો તેને પગલે કલમ 370 હટાવવા માટે સરકાર મજબૂર થઈ ગઈ હતી. પ્રજા અને આર્મી બંનેની સલામતી માટે આ પગલું જરૂરી હતું.