દેશનું નામ બદલનારાઓએ ભારે કિમત ચૂકવવી પડશે: રાહુલ
પેરિસમાં યુનિવર્સિટીના કાર્યક્રમમાં કોંગી નેતાનો પ્રહાર
કોંગી નેતા રાહુલ ગાંધીએ ભારત અને ઈન્ડિયા મુદ્દા પર ચાલી રહેલા વિવાદ અંગે કહ્યું હતું કે દેશનું નામ બદલવા માટે સક્રિય લોકો ઇન્ડિયાના આત્મા પર હુમલો કરી રહ્યા છે અને તેના માટે એમણે ભારે મોટી કિમત ચૂકવવી પડશે.
પેરિસ ખાતે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં બોલતી વખતે રાહુલે કહ્યું કે જે લોકો આવો પ્રયાસ કરી રહ્યા છે તેઓ ઇતિહાસનો અસ્વીકાર કરી રહ્યા છે. આવા લોકોએ કિમત ચૂકવવી જ પડશે. આપણે તેને સહન કરી શકીએ નહીં.
રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે વિપક્ષના ગઠબંધનનું નામ ઈન્ડિયા રખાયું છે માટે સરકારે ઇરાદાપૂર્વક ભારત નામ ધરાર રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે. દેશના બંધારણે બંને નામ ઈન્ડિયા અને ભારતને સ્વીકાર્યા છે.
આમ રાહુલે કેન્દ્ર સરકાર અને ભાજપ બંને સામે આકરા વિધાનો કર્યા હતા. આ વિવાદ હજુ પણ આગળ વધશે તેવું દેખાય છે. એમણે સરકારની દાનત પર શંકા ઊઠાવી છે.