માત્ર 32 મિનિટમાં આટલા કરોડના દાગીનાની ચોરી, જુઓ CCTV
દેહરાદૂનમાં રિલાયન્સ જ્વેલર્સના શોરૂમના કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો હતો. શોરૂમમાં ઘૂસેલા કેટલાક લૂંટારુઓએ માત્ર 32 મિનિટમાં જ હાથ સાફ કર્યા અને 20 કરોડની જ્વેલરી લઈને ફરાર થઈ ગયા. શોરૂમમાં કામ કરતા કર્મચારીઓને ડરાવવા માટે ચોરોએ કેટલાકને બંદૂક બતાવીને ધમકી આપી હતી અને કેટલાકને માર માર્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ચોરોથી કર્મચારીઓ એટલા ડરી ગયા હતા કે લૂંટારાઓ ગયા પછી પણ કેટલીક મહિલા કર્મચારીઓ ડરના માર્યા પોતાના આંસુ રોકી શકી નહીં. કર્મચારીઓએ પોલીસને આપેલી માહિતી મુજબ ચાર લૂંટારુઓ શોરૂમમાં ઘૂસ્યા હતા જ્યારે તેમના કેટલાક સાથીદારો બહાર ચોકીદારી કરીને ઉભા હતા. લૂંટની ઘટના રાજપુર રોડ પર આવેલા રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં ગુરુવારે ધોળા દિવસે બની હતી.
માત્ર 32 મિનિટમાં લૂંટ
રાજપુર રોડ પરનો શોરૂમ સવારે 10.15 કલાકે ખુલ્યો હતો. શોરૂમમાં 11 કર્મચારીઓ ગ્રાહકોના આગમન પહેલા જ જ્વેલરીને સુઘડ રીતે ગોઠવી રહ્યા હતા. દુકાનમાં 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હીરા અને સોનાના આભૂષણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પરંતુ અચાનક 10.24 આસપાસ ચાર માસ્ક પહેરેલા ચોર શોરૂમમાં ઘૂસ્યા. સૌથી પહેલા તેઓ દુકાનના સિક્યુરિટી ગાર્ડ હયાત સિંહને અંદર ખેંચી ગયા. આ પછી શોરૂમના સમગ્ર સ્ટાફને બંદૂકની અણીએ બંધક બનાવી લેવામાં આવ્યો હતો. તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ લૂંટારુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.
ત્યારબાદ હુમલાખોરોએ કર્મચારીઓના હાથ પ્લાસ્ટિક બેન્ડથી બાંધી દીધા અને શોરૂમના પેન્ટ્રી રૂમ (રસોડા)માં બંધ કરી દીધા. પરંતુ કેટલીક મહિલા કર્મચારીઓને બહાર લાવીને ડિસ્પ્લે બોર્ડમાંથી ઘરેણાં કાઢીને બેગમાં ભરી દેવાની ફરજ પાડી હતી. માત્ર 32 મિનિટમાં એટલે કે 10:56 વાગ્યે લૂંટારુઓ દાગીના સહિતનો તમામ સામાન ધરાવતો થેલો લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ધોળા દિવસે કરી લુંટ
રિલાયન્સનો આ શોરૂમ રાજપુર રોડ પર ગ્લોબ ચોક પાસે આવેલો છે. જે કોમ્પ્લેક્સમાં આ શોરૂમ આવેલો છે તે ચાર માળની બિલ્ડીંગ છે જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગ છે. અહીં ખૂબ જ ટ્રાફિક રહે છે, પરંતુ ચોર અડધો કલાક શોરૂમમાં હોવા છતાં કોઈને તેની જાણ થઈ ન હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ આસપાસના લોકોને ખબર પડી કે લૂંટ થઈ છે. જ્યારે લૂંટારુઓ ભાગી રહ્યા હતા, ત્યારે તેઓ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. દાગીનાની લૂંટ કર્યા બાદ તેઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા
નજીકમાં છે પોલીસ સ્ટેશન
રાજધાનીમાં ચોરીની આટલી મોટી ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રીએ પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર, અધિક પોલીસ અધિક્ષક એપી અંશુમન સહિતના સિનિયર અધિકારીઓને બોલાવ્યા અને વહેલી તકે મામલો થાળે પાડવાનો આદેશ આપ્યો. રિલાયન્સ જ્વેલરીનો શોરૂમ જ્યાં લૂંટની ઘટના બની હતી તે સચિવાલય અને પોલીસ હેડક્વાર્ટરથી માત્ર પથ્થર ફેંકવાના અંતર જેટલા જ દૂર છે. જો કે લૂંટારુઓ પોલીસના નાક નીચે લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા.