તેજસ્વી યાદવે 22મી સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે
ગુજરાતી પ્રજાને મહા ઠગ ગણાવતા નિવેદન મામલે માનહની નો દાવો દાખલ થયો હતો
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પોતાના નિવેદનને લીધે અને ગુજરાતી પ્રજાને મહા ઠગ કહેવાના મામલે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું હતુ અને સમન્સ ઈશ્યુ કર્યું હતુ. હવે તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે.
અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. અમદાવાદના હરેશ મહેતા નામના અરજદારે તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.
અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી કરી હતી. હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે.