ગોવાના પ્રાચીન ચર્ચમાંથી દુર્ગા મૂર્તિ દૂર કરાઈ
હિન્દુ સંગઠનો એ મૂર્તિ સ્થાપન કરી દીધું હતું
ગોવામાં સાનકોલે ખાતે 16 મી સદીમાં પોર્ટુગીઝોએ બનાવેલા અવર લેડી ઓફ હેલ્થ ચર્ચમાં મૂકવામાં આવેલી દુર્ગા માતાની મૂર્તિ પોલીસે દૂર કરી હતી. આ ચર્ચ દુર્ગા માતાનું મંદિર તોડીને બનાવાયું હોવાનો હિન્દુ સંગઠન કરણી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ સંગઠનને ચર્ચ સંકુલમાં મૂર્તિ સ્થાપન કર્યા બાદ મોટી સંખ્યામાં હિન્દુઓ ત્યાં દર્શનાર્થે ઉમટી પડતા તંગદીલી ફેલાઈ હતી.
1561 માં આ ચર્ચ પોર્ટુગીઝો દ્વારા ઝુવારી નદીના કિનારે બનાવવામાં આવ્યું હતું અને પુરાતત્વ ખાતા દ્વારા તેનો સુરક્ષિત સ્મારક શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કરણી સેનાએ મૂર્તિ સ્થાપન કરતા કેથોલિક સમાજમાં અસલામતીની ભાવના ફેલાઈ હતી ગોવા કોંગ્રેસના નેતા કારલોસ અલ્વાડેઝે આ કૃત્ય ગોવામાં વધતા જતા કટરવાદને કારણે બન્યું હોવાનું જણાવ્યું હતું. આવું કૃત્ય સતાધીશોની મીઠી નજર અને આશીર્વાદ વગર ન બની શકે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. કેથોલિક સમાજની ફરિયાદ બાદ પોલીસે મૂર્તિ દૂર કરી હતી. આ મામલામાં 10 શખ્સો સામે ગુનો નોંધી તમામને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.