અયોધ્યામાં 12 વર્ષની એક માસુમ બાળકી પર થયેલા દુષ્કર્મના કિસ્સાએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે. બાળકીને બે મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યા બાદ આ જઘન્ય ઘટના પ્રકાશમાં આવી હતી. આ અધમ કૃત્ય બદલ પોલીસે 72 વર્ષના બેકરી માલિક મોઈન ખાન અને તેને ત્યાં નોકરી કરતા રાજુ ખાનની ધરપકડ કરી છે. આ પૈકીના મોઈન ખાન સમાજવાદી પાર્ટીના નેતા છે અને અયોધ્યાના સંસદ અવધેશ પ્રસાદ ની ખૂબ નજીક હોવાનું ખૂલ્યું છે. આ સંજોગોમાં યોગી સરકાર અને ભાજપ સમાજવાદી પાર્ટી ઉપર તૂટી પડ્યા છે. ન્યૂઝ ચેનલમાં અયોધ્યા અયોધ્યા થઈ ગયું છે. યોગી આદિત્યનાથે પીડીતાના પરિવારજનો સાથે મુલાકાત કરી. દસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. એ પછી પીડિતાના ઘરે ભાજપના નેતાઓની કતારો લાગી છે.
આ ઘટનાની ફરિયાદ નોંધાઇ તેના ત્રીજા દિવસે મોઈન ખાનની બેકરી ઉપર બુલડોઝર ફરી વળ્યુ. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે આરોપીઓની સાત પેઢી યાદ રાખે તેવી સજા કરવાનો હુંકાર કર્યો હતો. દુષ્કર્મનો આ કિસ્સો હવે રાજકારણ રમવાનું માધ્યમ બની ગયો છે. ભારતીય જનતા પક્ષને આ કેસમાં અયોધ્યા અને ઉત્તર પ્રદેશની ગુમાવેલી જમીન પરત મેળવવાની તક દેખાઈ રહી છે અને દુષ્કર્મના આ કેસને બહાનું બનાવી સમાજવાદી પાર્ટીને બદનામ કરવાનો ભાજપનો કારસો હોવાનો સાંસદ અવધેશ પ્રસાદે આક્ષેપ કર્યો હતો.
બળાત્કાર એ સૌથી મોટો અપરાધ છે. તે માત્ર સ્ત્રીના શરીર ઉપરનો હુમલો નથી. આ તેના સ્વમાન. તેની ગરિમા.અસ્મિતા અને તેના આત્મા પરનો હુમલો છે. દુષ્કર્મની ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઈએ. અયોધ્યાના કિસ્સામાં મોઈન ખાનની બેકરી ઉપર બુલડોઝર ફરી વળ્યું તે પગલું બેશક આવકારદાયક છે પરંતુ મુશ્કેલી એ છે કે આરોપીઓને સાત પેઢી સુધી યાદ રહે તેવા પગલા માત્ર પસંદગીના કેસમાં જ લેવામાં આવે છે. દુષ્કર્મના દરેકે કેસમાં બુલડોઝર નથી ધણણતું. આ તે કેવી કમનસીબી છે કે મહિલાઓના ચૂંટાયેલા દેહો પણ રાજકારણના અખાડા બની જાય છે. એવા ધૃણાસ્પદ કિસ્સાઓમાં પણ રાજકીય લાભ ખાટવાનું પાપ દરેક રાજકીય પક્ષ કરે છે. કોઈને પીડીતાના દર્દ વેદના કે પીડાની પડી નથી. બધા પક્ષો એક સરખા છે. બળાત્કાર કોણે કર્યો, પીડિતા કોણ છે અને કયા રાજ્યમાં કોના શાસનમાં આવી ઘટના બને છે તેના પરથી પ્રતિભાવ નક્કી થાય છે.
અત્યારે ભાજપના નેતાઓ સપા ઉપર તૂટી પડ્યા છે. મોઈન ખાનના સપાના નેતાઓ સાથેના ફોટા ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. અખિલેશ યાદવે આવી ઘટનાઓમાં પણ ભાજપ રાજકારણ રમે છે તેવો આક્ષેપ કર્યો છે પણ ભૂતકાળમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીએ પણ આવા જ ખેલ કર્યા હતા. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં વારાણસીમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની એક યુવતી ઉપર સામૂહિક બળાત્કાર થયો હતો. એ કેસના ત્રણે આરોપીઓ ભાજપના સક્રિય સભ્યો હતા. એક આરોપી ભાજપના કોર્પોરેટરનો જમાઈ છે. બીજા આરોપીને ધારાસભ્ય સાથે નજીકનો ઘરોબો છે.ત્રીજો નરાધમ ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલો હતો. એ કેસમાં અખિલેશ યાદવને પણ રાજકીય લાભ દેખાતો હતો. તેમણે એ આરોપીઓની વડાપ્રધાન મોદીથી માંડી અને સ્થાનિક નેતાઓ સાથેની તસવીરો વાયરલ કરી હતી અને એ ઘટના માટે ભાજપની સંસ્કૃતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.બીજી તરફ તરફ એ કેસમાં બુલડોઝરની વાત તો જવા દયો, આરોપીઓની ધરપકડ પણ 60 દિવસ બાદ થઈ હતી.
આ આપણું રાજકારણ છે. નરાધમે નરાધમે સજા અલગ અલગ હોય છે. આવી ઘટનાઓની યાદી ખૂબ મોટી છે તેમાંથી કેટલાક બનાવવા પર નજર નાખીએ.
આ કિસ્સાઓમાં બુલડોઝર ન ધણધણ્યા
આ વર્ષે પહેલી જાન્યુઆરીએ અયોધ્યાના એક મંદિરમાં 30 વર્ષની મહિલા પર દુષ્કર્મ થયું હતું. એ મંદિરના પૂજારી કૃષ્ણકાંતાચાર્ય એ મહિલાને મંદિર પરિસરમાં જ બંધક બનાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગમે તેમ કરીને પીડિતાએ ફોન કર્યા બાદ પોલીસે તેને છોડાવીને પૂજારીની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશના ઉઘાઇટી ગામના મંદિરના પૂજારી અને તેના બે મળતીયાઓએ 50 વર્ષની મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો હતો. બાદમાં પૂજારી પોતે એ મહિલાને તેના ઘરે છોડી આવ્યા હતા.લોહીલુહાણ થઈ ગયેલી એ હતભાગી મહિલાનું હોસ્પિટલમા મૃત્યુ નિપજ્યું હતું. એ ઘટનામાં સ્થાનિક પોલીસે ,” પૂજારી કદી બળાત્કાર ન કરે” તેમ કહીને ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે પોસ્ટમોર્ટમ બાદ દુષ્કર્મની કલમ લગાડવામાં આવી હતી. આ એક પણ કિસ્સામાં બુલ્ડોઝર ધણધણ્યું નહોતું કે ન તો સાત પેઢીને યાદ રહે એવી સજા દેવાનો લલકાર થયો
સામુહિક બળાત્કાર અને હત્યાના કેસમાં પણ રોષ અને સજા અલગ અલગ
મધ્યપ્રદેશની સરકારે પણ હવે બુલડોઝર નો ઉપયોગ શરૂ કર્યો છે. પણ ત્યાં પણ પસંદગીના કિસ્સાઓમાં જ મકાનો તોડી પાડવામાં આવે છે. મોરેના જિલ્લાના ચાંદ કા પુરા નામના ગામમાં ૩૦ વર્ષની એક ગર્ભવતી મહિલા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચાર્ય હતું અને બાદમાં તેને સળગાવી દીધી હતી.
ઉનાઓમાં 23 વર્ષની એક મહિલા પર સામુહિક દુષ્કર્મ થયું હતું. એ કેસના આરોપીઓને જામીન મળી ગયા હતા. દરમિયાન મહિલા રાયબરેલી ની અદાલતમાં જુબાની દેવા જતી હતી ત્યારે જામીનમુક્ત બે આરોપીઓ સહિત પાંચ શખ્સોએ તેને રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં સળગાવી દીધી હતી.
સાગર જિલ્લામાં 23 વર્ષની ગર્ભવતી મહિલા પર સામુહિક બળાત્કાર થયો હતો. એ કેસના આરોપી પણ જામીન ઉપર છૂટી ગયા તે પછી પીડિતાની માતા અને ભાઈને ટોળાએ ઢોર માર માર્યો હતો. એટલું ઓછું હોય તેમ આરોપીઓએ પીડીતાના ઘરને આગ ચાપી દીધી હતી અને તેના પુત્ર અને પુત્રીને અગનજવાળામાં ધકેલી દીધા હતા. એ કેસમાં પીડિતાના કાકા રાજેન્દ્ર કુમાર સાક્ષી હતા. પોલીસે તેમની ગેરકાયદે હથિયાર રાખવા બદલ ધરપકડ કરી લીધી હતી.
બાદમાં ઢોરમાર નો ભોગ બનેલા રાજેન્દ્ર કુમારનું મૃત્યુ થયું હતું. વાત એટલી જ નથી, તેમના મૃતદેહને લઈ અને પીડિતા એબ્યુલન્સમાં ઘરે આવી રહી હતી ત્યારે તેનું પણ મૃત્યુ થયું હતું. પીડિતા એમ્બ્યુલન્સ માંથી પડી ગઈ હોવાનો પોલીસે ખુલાસો આપ્યો હતો.અન્ય એક બનાવમાંઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં દુષ્કર્મના આરોપીઓને જામીન મળી ગયા બાદ આરોપીઓએ પીડિતા અને તેની માતા પર ટ્રેક્ટર ચડાવી મારી નાખ્યા હતા.આ યાદી ખૂબ મોટી છે. ત્રીજી ઓગસ્ટના રોજ વારાણસીમાં દેવી શંકર રાજભર નામના નિવૃત્ત રેલવે અધિકારીએ 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચાર્ય હતું અને તેની સાથે રહેલા એક યુવાને તેનો વિડીયો ઉતાર્યો હતો. એવા જ વધુ એક બનાવમાં મધ્યપ્રદેશના દાતિયામાં પાંચ વર્ષની એક માસુમ બાળાને એક મંદિરના પૂજારી રાજુ પંડિત અને બાતોલી પ્રજાપતિ ચોકલેટની લાલચ આપી ઉઠાવી ગયા હતા અને બાદમાં એ માસુમ બાળકી તે બંને હવસખોરોનો શિકાર બની હતી.
ઉપર જણાવ્યા તે એક પણ કેસમાં બુલડોઝર નહોતું ધણધણ્યું. નહોતી ન્યુઝ ચેનલોમાં ડીબેટો થઈ.નહોતી અપાઈ કોઈ આર્થિક સહાય અને નહોતો થયો સાત પેઢી યાદ રાખે એવી સજા આપવાનો હુંકાર. આવા બેવડા માપદંડો રાજકારણીઓના દંભને ઉજાગર કરે છે.
અને આ તાજી ઘટના..
ઉતર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં અરુણ સૈનિ નામના યુવાનને શીબા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો .અરુણ તેને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પણ યુવતીના પરિવારજનો માનતા નહોતા.બાદમાં 23 જલાઈના રોજ યુવતી ગુમ થઈ ગઈ હતી.એ યુવતીની માથા વગરની લાશ રવિવારે નજીકના જંગલમાંથી મળી આવી.અરુણે તેની હત્યા કર્યા બાદ માથું નહેરમાં ફેંકી દીધું હતું.હવે આ કેસમાં બુલડોઝર દોડે છે કે કેમ તે જોવાનું રહ્યું.
હવે વાંચો દુષ્કર્મ અંગે નેતાજીઓના ઉચ્ચારણો
” જેમ વધુ નગ્નતા તેમ યુવતીઓ વધુ ફેશનેબલ ગણાય છે. જ્યાં ખાંડ હશે ત્યાં કીડીઓ ઘુસી જ જશે”
-અબુ આઝમ સમાજવાદી પાર્ટીના નેતા
“ગ્રહો પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો વ્યક્તિને નુકસાન થઈ શકે છે. અમારી પાસે દુષ્કર્મના બનાવો અંગે કાંઈ જવાબ નથી. ફક્ત જ્યોતિષો જ એ બાબતે આગાહી કરી શકે “
- નાનકીરામ કંવર, ગૃહમંત્રી – છત્તીસગઢ
“છોકરાઓ અને છોકરીઓ ભેગા હરે ફરે છે. પછી વાંધો પડે એટલે છોકરી બળાત્કારની ફરિયાદ કરે છે. જુઓ ત્રણ બિચારા યુવાનોને ફાંસીની સજા ફરમાવવામાં આવી. શું દુષ્કર્મ બદલ ફાંસી દેવાની હોય? છોકરાઓ તો છોકરા છે અને ભૂલ કરી બેસે છે”.
-મુલાયમસિંહ યાદવ,ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ
“દુષ્કર્માની એક નાનકડી ઘટનાનો આખા વિશ્વમાં પ્રચાર થયો છે. ટુરીઝમ ક્ષેત્રે આપણને અબજો ડોલરનું નુકસાન થશે”.
-નિર્ભયા કેસ માં અરુણ જેટલીનું નિવેદન
” તેણે બોયફ્રેન્ડ ની સાથે રાત્રે બસમાં જવાની જરૂર નહોતી. તેણે આરોપીને ભાઈ કહીને સંબોધન કરવું જોઈતું હતું. શું તાળી એક હાથે પડે છે”?
- નિર્ભયા કેસ અંગે આસારામ બાપુ..