ભાજપના જ ધારાસભ્યએ આક્ષેપ કર્યો: ‘કેન્દ્રીય કાનૂન મંત્રી મેઘવાલ ભ્રષ્ટાચારી નંબર વન છે’
રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો
રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ સ્પીકર કૈલાશ ચંદ્ર મેઘવાલે કેન્દ્રના કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને ભ્રષ્ટાચારી નંબર વન ગણાવતા રાજસ્થાન ભાજપનો આંતરકલહ છાપરે ચડી ને પોકારવા લાગ્યો છે. ખુદ ભાજપના જ ધારાસભ્ય એ કરેલા આક્ષેપને કારણે વિપક્ષોને ભાજપ ઉપર પ્રહાર કરવાનું નવું શસ્ત્ર મળી ગયું છે.
ભીલવાડા વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા કૈલાશ ચંદ્ર એ કહ્યું હતું કે આ અર્જુન મેઘવાલ ભ્રષ્ટાચારી નંબર વન છે. તેઓ કલેક્ટર હતા ત્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. તેની સામે આજે પણ ભ્રષ્ટાચાર અંગેના કેસ ચાલુ છે. તેમણે ગરીબો અને અનુસૂચિત જાતિના લોકોને પણ નથી છોડ્યા.
તેમણે વધુમાં કહ્યું કે હું વડાપ્રધાન મોદીને પણ પત્ર લખીને કહેવાનો છું કે તમે જેને કાયદામંત્રી બનાવ્યો છે તે મહાભ્રષ્ટ છે. તેમની સામેના કેસોનો નિકાલ ન આવે ત્યાં સુધી તેમને મંત્રી પદેથી દૂર કરવા જોઈએ એવી તેમણે માગણી કરતા ભારે ચકચાર જાગી છે. દેશના કાયદા મંત્રી ખુદ ભ્રષ્ટ છે એવો આક્ષેપ ભાજપના જ સિનિયર નેતાએ કરતા પક્ષના નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.