જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ, રાજ્યના દરજ્જા અંગે અત્યારે કશું કહી શકાય નહીં
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. રાજ્યના દરજ્જા અંગે અત્યારે કશું કહી શકાય એમ નથી.
તેમણે કહ્યું, કલમ 370 હટાવ્યા બાદથી રાજ્યમાં આતંકવાદી ઘટનાઓમાં 45 ટકાનો ઘટાડો થયો છે. ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે. સુરક્ષા દળોને થતા નુકસાનમાં 60 ટકાનો ઘટાડો થયો છે. પથ્થરમારો પણ લગભગ બંધ થઈ ગયો છે.
સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે તે હજુ સ્પષ્ટ નથી. આમાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. અર્થતંત્રમાં સુધારો થયો છે.
તેમણે કહ્યું, “પ્રથમવાર ત્રણ સ્તરીય પંચાયતી રાજની ચૂંટણીઓ યોજાવાની છે. પંચાયતની ચૂંટણી, જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીઓ. આમાંથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. બાકીની પણ ટૂંક સમયમાં યોજાશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ ચાલી રહી છે. રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેને રાજ્યનો દરજ્જો આપવાનો સમય હજુ કહી શકાય તેમ નથી.”