સપા નેતા આઝમ ખાનને ત્યાં આવકવેરાની તપાસ પૂરી : રૂ. 800 કરોડની કરચોરીની શક્યતા
લખનૌ
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમની સાથે સંકળાયેલા લોકો પર ત્રણ દિવસના દરોડા પછી રૂ. 800 કરોડથી વધુની કરચોરીની આશંકા છે. આવકવેરા અધિકારીઓ, સુરક્ષા દળો એ તપાસ પૂરી કરી લીધા બાદ ખાને કહ્યું હતું કે આ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓને આઝમ ખાનના ઘરેથી રૂ. 83.90 લાખ રોકડા મળ્યા હતા.
આવકવેરા વિભાગે ખાન વિરુદ્ધ કરચોરીની તપાસના ભાગરૂપે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 30થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. વિભાગે ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર, લખનૌ, ગાઝિયાબાદ અને મેરઠ ઉપરાંત પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.
ગાઝિયાબાદમાં આવકવેરા વિભાગે રાજનગર કોલોનીમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. આ ઘર એકતા કૌશિકનું છે, જે ખાન પરિવારનું નજીક માનવામાં આવે છે. આ દરોડામાં આવકવેરા વિભાગના 42 લોકો સામેલ હતા. આશરે 60 કલાક IT વિભાગના અધિકારી અને સીમા સશસ્ત્ર દળના જવાન આઝમ ખાનના ઘરમાં રહ્યા હતા.
જોકે આઝમ ખાન અને પાર્ટી વિરુદ્ધ દરોડા પર SP તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પાર્ટીએ ખાનને સમર્થન આપતાં ભાજપ સરકાર પર તાનાશાહી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. દરોડા પછી પાર્ટીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આઝમ ખાન સાહેબ સત્યનો અવાજ છે. તેમણે બાળકોના સારા ભવિષ્યનો પાયો નાખ્યો અને શિક્ષણ માટે યુનિવર્સિટી બનાવી.જોકે, ભાજપના નેતા અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ ભારતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે તેમના અધિકારોમાં કામ કરી રહી છે.