શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં શા માટે હાજર નહીં રહે…?
અધૂરા મંદિરમાં શાસ્ત્રના કથનની વિરુદ્ધ વિધિ થઈ રહી હોવાનો દાવો
22મી તારીખે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સનાતન ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા ચાર શંકરાચાર્ય માંથી એક પણ શંકરાચાર્ય હાજર નહીં રહે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર ન થતી હોવાને કારણે આ નિર્ણય લીધો હોવાની બુધવારે રતલામ માં જગન્નાથપુરી મઠ ના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે જાહેરાત કરી હતી. મંદિરનું બાંધકામ અપૂર્ણ હોય ત્યાં સુધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અભૂતપૂર્વ ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છે અને એ પ્રસંગે હજારો સંતો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે શંકરાચાર્યોની આ ઘોષણાને કારણે વિવાદ થવાની સંભાવના છે.
આ નિર્ણયના કારણો જણાવતા નિશ્ચલાનંદ સ્વામી એ જણાવ્યું હતું કે કોણ પ્રતિમાને સ્પર્શ કરે, કોણ ના કરે એનું ધ્યાન રાખવું જોઈએ. પુરાણોમાં લખ્યું છે કે પ્રતિમામાં દેવતા ત્યારે પ્રતિષ્ઠિત થાય છે, જ્યારે વિધિનું પાલન થાય. જો આ વિધિવત્ ના થાય તો દેવીદેવતા કોપાયમાન થઈ જાય છે. તેમણે કહ્યું કે આ રમત નથી. યોગ્ય રીતે તે કરાય તો દેવતાનું તેજ બધા માટે સારું રહે છે, નહીં તો તે વિસ્ફોટક બની જાય છે.
બીજી તરફ જયોતિર્મઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મંદિર નિર્માણનું કાર્ય અધૂરું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આટલી બધી ઉતાવળ કેમ છે તેવો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે શંકરાચાર્યોની ફરજ છે કે તેઓ શાસ્ત્ર વિધિનું પાલન કરે અને કરાવડાવે. પરંતુ અયોધ્યામાં શાસ્ત્ર વિધિની ઉપેક્ષા થઈ રહી છે. મંદિરનું નિર્માણ પૂરું થયું નથી અને પ્રાણપ્રતિષ્ઠા કરાઈ રહી છે. એવી તો કોઈ પરિસ્થિતિ નથી ઊભી થઈ કે અચાનક જ બધું કરવું પડે? તેમણે ઉમેર્યું કે 1949માં ત્યાં રાત્રે જઈને પ્રતિમા મૂકી દેવાઈ હતી, તે એક પરિસ્થિતિ હતી. 1992માં જ્યારે માળખું તોડી પડાયું ત્યારે કોઈ મુહૂર્ત થોડું જોવાયું હતું. ત્યારે કોઈ શંકરાચાર્યે ક્યાં પ્રશ્નોના ઉઠાવ્યા હતા ? કારણ કે એ સમયે પરિસ્થિતિ એવી હતી.પણ, આજે આપણી પાસે તક છે કે આપણે સારી રીતે તેનું નિર્માણ કરીએ. એટલે અમે બોલીએ છીએ તો અમને મોદીવિરોધી ગણાવાઈ રહ્યા છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે જ અમે ચાલવા માગીએ છીએ, જનતાને ચલાવવા માગીએ છીએ. રામ છે, એવું ધર્મશાસ્ત્રે જ જણાવ્યું છે. જે શાસ્ત્રથી આપણે રામને જાણ્યા, એ શાસ્ત્રથી અમે પ્રાણપ્રતિષ્ઠા પણ જાણીએ છીએ અને એટલે કોઈ શંકરાચાર્ય ત્યાં નથી જઈ રહ્યા.
અમે પ્રાણ પ્રતિષ્ઠાના કે મોદીના વિરોધી નથી
શંકરાચાર્યએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એ ઐતિહાસિક પ્રસંગ છે. અમે રામ મંદિર,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કે મોદીના વિરોધી નથી. પણ સાથે જ શાસ્ત્રોક્ત વિધિ નું ઉલ્લંઘન થતું હોય તો તેને નજર અંદાજ ન કરી શકીએ. નોંધનીય છે કે ચારમાંથી ત્રણ શંકરાચાર્યએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો વિરોધ નથી કર્યો. દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ તેઓ પણ ઉપસ્થિત નહીં રહે. શ્રુંગીરી પીઠના શંકરાચાર્ય તેમના નામે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સંદેશા ને પાયા વગરના જણાવ્યા હતા અને બધાને આ અવસરની ઉજવણી કરવાનો અનુરોધ કર્યો હતો.
ચંપતરાયના નિવેદને બળતામાં ઘી હોમ્યું
શ્રી રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચંપતરાયે એ મંદિર રામાનંદી પંથનું હોવાનું અને સન્યાસીઓ કે શિવ કે શાકત પંથ નું ન હોવાનું જણાવતા વિવાદ ભડક્યો હતો. શંકરાચાર્ય નિષચલાનંદ સરસ્વતી મહારાજે પ્રતિભાવ આપતા જણાવ્યું કે જો એ મંદિર માત્ર રામાનંદી પંથનું જ હોય તો પછી બધા હિન્દુઓ પાસેથી ફાળો કેમ લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે રામ કોઈ એક પંથના નથી, દરેક હિન્દુના છે ,સમગ્ર રાષ્ટ્રના છે. તેમણે કહ્યું કે શંકરાચાર્યને મંદિર નથી હોતું. પરંતુ ભારતના દરેક મંદિરની ધર્મવ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી અને અધિકાર શંકરાચાર્યનો છે. તેમણે તેમણે કહ્યું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એ શાસ્ત્રોનું કથન છે. તે અંગે ધ્યાન દોરવું એ અમારી ફરજ છે. જો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોત વિધિ વિધાન મુજબ ન થાય તો તેનું અવળું પરિણામ આવી શકે છે.