ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરવા પાકિસ્તાન નથી જતો
સરહદ પારના આતંકવાદને અવગણીને કોઈ પણ પાડોશી દેશ સાથે સારા સંબંધ ન રહી શકે.
-યુક્રેન હોય કે ઇઝરાયલ, યુધ્ધની અસર તો પડશે જ : જયશંકરને ચિંતા
વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં **IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી તેમની આગામી પાકિસ્તાન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુકે, આ મુલાકાત દરમિયાન ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે કોઈ ચર્ચા થવાની નથી. તેમણે ઈરાન, લેબેનોન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે, સંઘર્ષ ગમે તે બે દેશ વચ્ચે હોય પણ તેની અસર તો થવાની જ છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે મધ્ય પૂર્વની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે જે આપણને પણ અસર કરશે. તેમણે કહ્યું કે હું આજે પ્રામાણિકપણે કહીશ કે યુક્રેનનો સંઘર્ષ હોય કે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, આ અસ્થિરતાના મોટા પરિબળો છે, ચિંતાના મોટા પરિબળો છે. મને લાગે છે કે ભારત સહિત સમગ્ર વિશ્વ આનાથી ચિંતિત છે.
વિદેશ મંત્રીએ કહ્યું, “મધ્ય પૂર્વ હવે એક તક નથી, પરંતુ ઊંડી ચિંતા અને ચિંતાનું કારણ છે. અહીં સંઘર્ષ વધી રહ્યો છે – પહેલા આતંકવાદી હુમલા, પછી ક્રેકડાઉન, અને પછી ગાઝામાં શું થયું, જે ખૂબ જ ચિંતાજનક છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે લાલ સમુદ્રમાં આ સંઘર્ષ જોવા મળી રહ્યો છે, જેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે અને વૈશ્વિકીકરણના યુગમાં કોઈપણ જગ્યાએ સંઘર્ષ થઈ શકે છે આથી સમગ્ર વિશ્વમાં સમસ્યાઓ સર્જાય છે, તે જરૂરી છે કે વિશ્વ સમુદાય સાથે મળીને તકરારનો ઉકેલ લાવવા માટે કામ કરે.”
ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે, પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરીને નહીં.
તેમણે કહ્યું હતું કે, હું આ મહિનામાં પાકિસ્તાન જઈ રહ્યો છું. હું ભારત પાકિસતાનના સંબંધ વિશે ચર્ચા કરવા માટે ત્યાં નથી જઈ રહ્યો પણ એસ.સી.ઓ.નાં એક સભ્ય તરીકે જાઉં છુ.