બેંક કર્મચારીઓને બખ્ખા : જાણો કેટલા ટકાનો થયો પગારમાં વધારો…?
- -બેંક કર્મચારી સંગઠન અને બેંક એસોસીએશન વચ્ચે સમજુતી
- -પગારવધારો 1-11-2022થી અમલી બનશે:
- -પાંચ દિવસના સપ્તાહનો નિર્ણય કેન્દ્ર પર છોડાયો
મુંબઈ
ઇંડિયન બેન્ક એસોશીએશન અને યુનિયનો વચ્ચે સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને સમજૂતી થઈ ગઈ છે. આ સમજૂતી અનુસાર, તમામ રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો થશે અને આ પગાર વધારો 1-11-22થી લાગુ થશે. અને તે પાંચ વર્ષ માટે અમલી રહેશે. જેના કારણે જાહેર ક્ષેત્રની બેંકો ઉપર વર્ષે રૂા.12,449 કરોડનો બોજો આવશે.ઑલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશને પોસ્ટ કરીને સમગ્ર જાણકારી આપી છે. આ નિર્ણયનો લાભ બેંકનાં સાડા આઠ લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને થશે.
આ ઉપરાંત બેંક કર્મચારીઓના ડીએ, એટલે કે મોંઘવારી ભથ્થાની ગણત્રી માટે પાયાના વર્ષ પણ કરાવવામાં આવ્યું છે અને હવે જુલાઈ, ઓગસ્ટ તથા સપ્ટેમ્બર 2021ના ડીએ ઈન્ડેકસની સરેરાશ મુજબ 8088 પોઈન્ટ ડીએ બેઝ ગણાશે. અને તે 31-10-2022ના જે બેઝીક પગાર બેંક કર્મચારીઓએ મેળવ્યો હતો તેના પર આ ડીએ વધારો અમલી બનશે. આ સાથે જ બેઝિક + DA પર ત્રણ ટકા લોડિંગનો લાભ પણ મળશે.
જેના કારણે બેંક કર્મચારીઓના ડીએમાં સરેરાશ 3 ટકાનો વધારો થશે અને બેંકો પર તેના કારણે વર્ષે રૂા.1795 કરોડનો બોજો આવશે આ ઉપરાંત બેંકના પેન્શનરોને પણ એક વખતના ઉપાય તરીકે જે લાંબા સમયથી વિવાદ ચાલે છે તેમાં મંથલી એકસ ગ્રેસીયા રકમ ચુકવવા નિર્ણય લેવાયો છે જેમાં ડીએ કે અન્ય કોઈ ભથ્થામાં ઉમેરો થશે નહીં.
લાંબા સમયથી બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહની માંગણી થઈ રહી છે જેમાં હવે નિર્ણય કેન્દ્ર સરકાર ઉપર છોડાયો છે અને કેન્દ્રના નાણા તથા બેંકીંગ વિભાગ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. આ જે પગાર વધારાથી લાંબા સમયથી ચાલી રહેલી બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ છે.