દિલ્હીવાસીઓ પર ફરી પૂરનો ખતરો, યમુનાનું જળસ્તર ફરી ડેન્જર લેવલને પાર
દિલ્હી માં ફરીવાર પૂરનો ખતરો પેદા થઈ ગયો છે અને તંત્ર વાહકો ધંધે લાગી ગયા છે. યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર સુધી પહોંચી ગયું હતુ. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર ઞઈ રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવીને સતત વધી રહ્યું હતુ. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. જૂના રેલવે બ્રિજ પર ગઈકાલે સાંજે 6 વાગ્યે પાણીનું સ્તર 204.94 મીટર હતું. યમુનાનું જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું અને પાણીનું સ્તર 204.57 મીટર પહોંચી ગયું હતું. યમુના નદીના જળસ્તરનું 'એલર્ટ' લેવલ 204.5 મીટર છે. જુલાઈમાં દિલ્હી તેમજ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. યમુના નદીએ 13 જુલાઈના રોજ અગાઉના રેકોર્ડને પણ તોડીને રેકોર્ડ 208.66 મીટરનો વધારો કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 27 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.