અમેરિકા બહાર સાથે સંબંધ સારા કરવા કેવું પગલું લેશે ? જુઓ
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રતિબંધો દૂર કરશે. બીજી તરફ ગત મહિને અમેરિકાએ પાકિસ્તાનની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતાં. જે પાકિસ્તાન માટે આઘાતજનક નિર્ણય છે.

અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાને આ અંગે માહિતી આપી હતી. જો બાઇડેન એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ આઇઆઇટી-દિલ્હી ખાતે ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. તેઓએ ભૂતકાળમાં 26 વર્ષ પહેલાં મૂકાયેલા પ્રતિબંધો દૂર કરી અમેરિકા સાથે ભારતના પારદર્શક વેપાર સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય રજૂ કર્યો હતો.
મે, 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેનાથી નારાજ અમેરિકાએ ભારતની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. જેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઇન્ડિયન રેર અર્થ્સ, પરમાણુ રિએક્ટર્સ સામેલ હતી.
હવે આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે. સુલિવાને જણાવ્યું હતું કે, ‘સેમીકંડક્ટર ટેક્નિક પર ભારત પ્રથમ એવો દેશ છે, જેની સાથે અમેરિકા કામ કરશે.’
અમેરિકાએ ગતમહિને પાકિસ્તાનની પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હતા. જેની પાછળનું કારણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન એવી મિસાઈલ તૈયાર કરી રહ્યું છે કે, જે સીધી અમેરિકા સુધી ટાર્ગેટ કરવા સક્ષમ છે. જો કે, પાકિસ્તાને અમેરિકાના આ દાવાને પાયાવિહોણા ગણાવી ખોટી રીતે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું નિવેદન આપ્યું હતું.