સાઉથ કોરિયામાં લોકશાહીનો વિજય છ કલાકમાં જ માર્શલ લો પરત ખેંચાયો
પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પ્રમુખના પારોઠના પગલાં
માર્શલ લો વિરુદ્ધના ઠરાવ બાદ સેનાએ સંસદ ભવન છોડ્યું
સાઉથ કોરિયામાં લોકશાહીનું પુનઃસ્થાપન થયું છે.
માત્ર છ કલાકમાં જ સાઉથ કોરિયામાંથી માર્શલ લો પરત ખેંચવામાં આવ્યો હતો. પ્રજાના પ્રચંડ વિરોધ તેમજ સાંસદોએ કરેલા ઠરાવને પગલે માર્શલ લો લાદનાર પ્રમુખ યુન સૂક યેલોને પારોઠ ના પગલા ભરવા પડ્યા હતા અને વહેલી સવારે 4:30 વાગ્યે રાષ્ટ્ર જોગ પ્રવચનમાં તેમણે માર્શલ લો પરત ખેંચી લેવાયા હોવાની જાહેરાત કરી હતી. એ જાહેરાતના પગલે સુરક્ષા દળના જવાનો સંસદ ભવનમાંથી ઉચાળા ભરી ગયા હતા.
સાઉથ કોરિયાના પ્રમુખ યુન સૂક યેલોએ નોર્થ કોરિયા તરફના ખતરાનું તેમજ વિપક્ષોની દેશને અસ્થિર કરવાના પ્રયાસોનું બહાનું આગળ ધરી માર્શલનો લાદવાની જાહેરાત કરી હતી.
તેમના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશભરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પાટનગર સિઓલમાં હજારો લોકો સંસદ ભવન સામે એકત્ર થઈ ગયા હતા અને માર્શલ લો પરત ખેંચવાની તેમજ પ્રમુખને રાજીનામું આપવાની માગણી કરતાં સૂત્રોચ્ચારો કર્યા હતા.
બીજી તરફ માર્શલ લો ની જાહેરાત સાથે જ સેનાના જવાનો ટેંકો તથા હથિયારધારી વાહનો સાથે સંસદ ભવન તરફ કુચ કરી ગયા હતા. એ સમયે દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થતાં અંધાધુંધી ફેલાઈ હતી. સુરક્ષા દળોએ સંસદ ભવનને સીલ કરી દીધું હોવા છતાં સતાધારી પક્ષ અને વિપક્ષના 300 માંથી 190 સાંસદો તેમાં પ્રવેશ કરી ગયા હતા અને માર્શલ લો પરત ખેંચવાના ઠરાવ ઉપર મતદાન કર્યું હતું.
ત્યારબાદ ચોમેર થી ભીંસમાં મુકાયેલા પ્રમુખે માર્શલ લો પરત ખેંચવાની ઘોષણા કરી હતી. આ ઘટનાને પગલે
પ્રમુખ યુન સૂક યેલોનું રાજકીય ભાવિ ખતરામાં મુકાઈ ગયું છે. નેશનલ એસેમ્બલીમાં બહુમતી ધરાવતા વિપક્ષો તથા સાઉથ કોરિયાની મુખ્ય લેબર પાર્ટીએ પ્રમુખની ધરપકડ કરી તેમની સામે કાયદેસર કામ ચલાવવાની માંગણી કરી હતી. પ્રમુખ તેમના પક્ષમાં પણ એકલા પડી ગયા હતા.સતાધારી પક્ષના સાંસદો અને નેતાઓએ પણ માર્શલ લો લાગુ કરી લોકશાહીની હત્યા કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
સિઆલમાં મધરાતે નાટ્યાત્મક દ્રશ્ય સર્જાયા
માર્શલ લો ની જાહેરાત સાથે જ સુરક્ષા દળના જવાનોએ રાજધાની સીઓલમાં રાજમાર્ગો અને વ્યુહાત્મક સ્થળો પર પોઝિશન સંભાળી લીધી હતી.
રાજધાનીના માર્ગો ટેંકો થી ધણધણી ઉઠ્યા હતા. સંસદ ભવનની છત ઉપર હેલિકોપ્ટર ઉતર્યા હતા. કેટલાક જવાનો સંસદ ભવનની બારીઓના કાચ તોડી અંદર પ્રવેશતા નજરે પડ્યા હતા. બીજી તરફ હજારો લોકોએ સંસદ ભવનને ઘેરો ઘાલ્યો હતો. છ કલાક સુધી ચાલેલા આ તમાશા બાદ પ્રમુખે માર્શલ નો પરત ખેંચવાની જાહેરાત કરતા હજારો દેખાવકારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.અને સેનાના જવાનો સંસદ ભવન છોડી બેરેકમાં પરત ફર્યા હતા.