શેખ હસીના માટે રેડકોર્નર નોટિસ ઇસ્યુ કરાવશે બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં નોંધાયા છે ગંભીર કેસ : ભારતમાં છુપાયા હોવાની શંકા
બાંગ્લાદેશની વચગાળાની સરકાર પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેના અવામી લીગના સહયોગીઓ સામે ઇન્ટરપોલ મારફત રેડ કોર્નર ઇસ્યુ કરાવશે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ શરુ થયેલી વ્યાપક હિંસા દરમિયાન શેખ હસીનાને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું અને પરિવાર સાથે દેશ છોડી જવાની ફરજ પડી હતી. શેખ હસીના પરિવાર સાથે ભારતમાં આશ્રય લઇ રહ્યા છે.
એક અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ભાગેડુઓને ભારતથી પરત લાવવા માટે તેઓ ઇન્ટરપોલની મદદ લેશે, જેથી માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે હસીના અને અન્યો સામે કાર્યવાહી કરી શકાય. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર સરકાર વિરોધી વિદ્યાર્થી આંદોલનને હિંસા વડે દબાવવા માટે આદેશ આપવાનો આરોપ છે. જુલાઈથી ઓગસ્ટ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોના મોત થયા હતા.
બાંગ્લાદેશના કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે પુષ્ટિ કરી હતી કે બાંગ્લાદેશે હસીના માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, જે તેના મહેલ પર પ્રદર્શનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ભારત ભાગી ગઈ હતી. જો કે ભારત સરકારે હસીના ભારતમાં આશ્રય લઇ રહ્યા હોવા અંગે પુષ્ટિ કરી નથી.
વિદ્યાર્થીઓના આંદોલનથી શરુ થયેલી ચળવળ મોટા પાયે વિદ્રોહમાં ફેરવાઈ હતી, જેના કારણે હસીનાને 5 ઓગસ્ટના રોજ છુપી રીતે ભાગીને ભારત આવી જવું પડ્યું હતું.