ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત
‘ધી લેન્સિટ હેમેટોલોજી’માં પ્રકાશિત સ્ટડીમાં ખુલાસો
નવી દિલ્હી તા.4 : ભારતમાં 43.7 ટકા લોકો લોહીની ઉણપની બિમારી મતલબ, એનીમીયાથી પીડિત છે. ધી લેન્સેટ હેમેટોલોજીમાં પ્રકાશીત એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. જોકે 1990 ની તુલનામાં તેમાં ઘટાડો થયો છે.1990 માં 51.6 ટકા લોકો એનિમીયાથી પીડીત હતા.
► પૂરી દુનિયામાં લગભગ 1.92 અબજ લોકો એનિમિયાથી અસરગ્રસ્ત
‘લેન્સિટ’માં 1990 થી 2021 સુધીનાં ગત 30 વર્ષમાં દુનિયાભરમાં એનિમિયાના આંકડાનું અધ્યયન કરવામાં આવ્યું છે.આ અભ્યાસ સિએટલ સ્થિત ઈન્સ્ટીટયુટ ફોર હેલ્થ મેટ્રિકસ એન્ડ ઈવેલ્યુએશન (આઈએચએમઈ) અને તેનાં ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ એનિમીયા સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
► પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ રોગનો પ્રસાર વધુ
દુનિયામાં પુરૂષોની તુલનામાં મહિલાઓને વધુ અસર
અધ્યયન મુજબ એનિમીયાએ 2021 માં લગભગ 1.92 અબજ લોકોને અસર કરી હતી.જેમાં પુરૂષોની તુલનામાં મહિલાઓને વધુ અસર થઈ હતી. વૈશ્ર્વીક સ્તર પર 2021 માં 17.5 ટકા પુરૂષોની તુલનામાં 31.2 ટકા મહિલાઓને એનિમિયા થયો હતો.15 થી 49 વર્ષની મહિલાઓમાં એનિમિયાનો ફેલાવો વધી હતો. આ વય વર્ગની મહિલાઓમાં એનિમિયાના પ્રસાર 33.7 ટકા જયારે પુરૂષોમાં 11.3 ટકા હતો.
► લોહીમાં ઉણપ માટે ખોરાકમાં લોહ તત્વની ખામી મુખ્ય કારણ
ખોરાકમાં આયર્ન (લોહતત્વ)ની કમી મુખ્ય કારણ:
ભારત સહીત દુનિયાભરમાં એનિમિયાનું મુખ્ય કારણ ખોરાકમાં આયર્નની કમી છે. કુલ એનિમિયા કેસોમાં 66.2 ટકા એનિમિયા આ કારણે થયા હતા.દુનિયાનાં આંકડાની વાત કરીએ તો 82.5 કરોડ મહિલાઓ અને 44.4 કરોડ પુરૂષો ખોરાકમાં આયર્નની કમીનાં કારણે એનિમિયાના શિકાર બન્યા હતા. ભારતમાં એનિમિયાનું બીજુ મુખ્ય કારણ હીમોગ્લોબીનોપેથી અને હેમોલિટીક એનિમીયા છે અને ત્રીજા ક્રમે અન્ય સંક્રામક હોય છે.