કંગના રનૌતમાં મીરાં બાઈની ભક્તિ છે: યોગી આદિત્યનાથ
- કંગનાની સરખામણી રાણી પદ્મિની અને રાણી લક્ષ્મીબાઈ સાથે પણ કરતા ભારે ઊહાપોહ
હિમાચલ પ્રદેશની મંડી બેઠકના ભાજપના ઉમેદવાર ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની સરખામણી યોગી આદિત્યનાથે મીરાં બાઈ, રાણી પદ્મિની અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે કરતા આશ્ચર્ય સાથે ભારે વિવાદ થયો છે. કંગના રનૌતના સમર્થનમાં એક ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે હું ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થતો પરંતુ જ્યારે કંગના માટે પ્રચાર કરવાનું મને કહેવામાં આવ્યું ત્યારે મને થયું કે હિમાચલ પ્રદેશની આ છોકરી માટે મારે અચૂક પ્રચાર કરવો જોઈએ.
એ માટેનું કારણ આપતા તેમણે કહ્યું કે કંગના રનૌતમાં મીરાબાઈની ભક્તિ, રાણી પદ્મિનીનું તેજ અને અને દુશ્મનો સામે લડવા માટેના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના શૌર્ય નો ત્રિવેણી સંગમ છે. તેમના આ નિવેદનના ઘેરાં પડઘાં પડ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હજારો લોકોએ આવી તુલના બદલ ખેદ અને રોષ પ્રગટ કર્યો હતો.
યોગી આદિત્યનાથે આવી પ્રશંસા કરી અને મીરાબાઈની ભક્તિ અને ક્ષત્રિય વિરાંગનાઓનું અપમાન કર્યું હોવાનો લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. અનેક લોકોએ કંગના રનૌતની તસવીરો શેર કરીને પૂછ્યું હતું કે શું આ પાત્રની તુલના મીરાબાઈ રાણી પદ્મિની કે રાણી લક્ષ્મીબાઈ સાથે કરવી યોગ્ય છે?નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ખુદ કંગના રનો તે કરેલા અનેક નિવેદનો અને દાવાઓ પણ હાંસી અને વિવાદનું કારણ બન્યા હતા.