બિહારમાં ફરી એક બીજો પુલ ધરાશાયી, કોઈ જાનહાનિ નથી
અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો : ભ્રષ્ટાચારનો આરોપ સીવાન પાસે ઘટના
બિહારમાં ફરી શનિવારે પુલ દુર્ઘટના બની હતી. ચાર દિવસમાં બીજો પુલ તૂટી પડતાં સરકાર પણ ચોંકી ઉઠી હતી. સિવાનના મહારાજગંજ સબ-ડિવિઝનના પટેધા અને ગરૌલી ગામ વચ્ચે ગંડક નહેર પરનો પુલ શનિવારે અચાનક તૂટી પડ્યો હતો. સવારે અચાનક પુલનો એક પાયો ડૂબવા લાગ્યો. થોડી જ વારમાં પુલ કેનાલમાં ગરકાવ થઈ ગયો. અકસ્માત બાદ બંને ગામ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી. બ્રિજના નિર્માણ કાર્ય પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે બિહાર સરકાર દ્વારા આ પુલ 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા કેનાલની સફાઈ કરાવવામાં આવી હતી. તેમજ કેનાલમાંથી માટી કાપીને કેનાલના ડેમ પર ફેંકવામાં આવી હતી. ગ્રામજનોનો દાવો છે કે તેના કારણે પુલનો પાયો નબળો પડી ગયો હતો પરિણામે પુલ તૂટી ગયો હતો જેના કારણે પુલ કેનાલમાં પડી ગયો હતો.
આ પુલ 30 ફૂટ પહોળો અને 30 વર્ષ જૂનો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુલ તૂટી પડ્યા બાદ પણ વિભાગના કોઈ લોકો ભાળ લેવા આવ્યા નહતા. તેના તૂટવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. બાળકો શાળાએ જઈ શકતા ન હતા અને આ પુલ એક ગામથી બીજા ગામ જવા માટેનું એકમાત્ર સાધન હતું.