કામદારો આનંદો : લઘુત્તમ વેતનમાં થશે વધારો
મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજીસની સિસ્ટમ લાગુ કરવા સરકારની કવાયત
૨૦૧૭થી લઘુત્તમ વેતન વધ્યું નથી પણ નવી નીતિથી વળતર વધશે અને જરૂરિયાતો સંતોષાશે
દેશમાં ચૂંટણીનો માહોલ છવાયો છે અને મોદી સરકાર દેશના અર્થતંત્રને વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનાવવા માટે મથી રહી છે તો બીજી તરફ સરકારે દેશના કરોડો કામદારોના લાભ માટે એક નવી પધ્ધતિ અમલમાં મુકવાની કવાયત કરી રહી છે. હાલમાં દેશમાં આ કામદારો માટે મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેજની પધ્ધતિ અમલમાં છે પણ તેને બદલે લિવિંગ વેજ એટલે કે કામદારોની જરૂરિયાત પ્રમાણે તેમને વળતર ચુકવવાની પધ્ધતિ લાવવાની વિચારણા થઇ રહી છે. કેન્દ્ર સરકારે આ માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)થી ટેક્નિકલ મદદ પણ માગી છે.
સરકારી સુત્રોએ એવો દાવો કર્યો છે કે, લિવિંગ વેજ પધ્ધતિ લાગુ કરવાથી હાલમાં કામદારોને કામના બદલામાં આજે વળતર મળે છે તેમાં વધારો થશે. કામદારોને તેની મૂળભૂત જરૂરિયાત જેવી કે રહેઠાણ, ખોરાક, આરોગ્ય, શિક્ષણ, કપડા વગેરે પાછળ થતા ખર્ચને પહોચી વળવા માટે વધુ વળતર મળે તે બાબતનું ધ્યાન આ લિવિંગ વેજમાં રાખવામાં આવશે. આ નવી પધ્ધતિ ૨૦૨૫થી લાગુ થવાની ધારણા છે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને તાજેતરમાં જ લિવિંગ વેજનો વિચાર રજૂ કર્યો હતો. સુત્રોના જણાવ્યા
અનુસાર, લિવિંગ વેજનો અંદાજ લગાવવા અને તેને લાગુ કરવા માટે એક ફ્રેમવર્કની પણ જરૂર પડશે.
આ પહેલાં મિનિમમ વેજની જગ્યાએ લિવિંગ વેજને લાગુ કરવા માટે એગ્રીમેન્ટ પર ફેબ્રુઆરીમાં સહમતી બની હતી. આ પછી વેજ અંગેની નીતિ નિર્ધારણના નિષ્ણાતોની એક બેઠક પણ મળી હતી અને તેમાં મંજુરી પણ મળી હતી. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે એક વર્ષની અંદર મિનિમમ વેજની વ્યવસ્થા બદલાઈ જશે.
દેશમાં 50 કરોડથી વધુ કામદારો છે અને એમાં 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે, તેમાંથી કેટલાયને દૈનિક ધોરણે રૂ. 176 કે એનાથી વધુ મજૂરી મળે છે. ભારતમાં, લઘુત્તમ વેતન રાજ્યથી રાજ્ય અને શહેરથી શહેરમાં બદલાય છે. કેટલાક રાજ્યોમાં તે 22 રૂપિયા પ્રતિ કલાકથી 50 રૂપિયા પ્રતિ કલાક છે. બિહારની સરખામણીમાં મહારાષ્ટ્રમાં અકુશળ મજૂરો માટે મૂળભૂત લઘુત્તમ વેતન રૂ. 62.87 છે જેનું લઘુત્તમ વેતન રૂ. 49.37 પ્રતિ કલાક છે. વર્ષ 2017થી નેશનલ વેજની મિનિમમ સીમામાં ફેરફાર નથી થયો.
સરકારે 2019માં વેજીસનો નવો કાયદો પસાર કરી દીધો હતો, પરંતુ અત્યાર સુધી એને લાગુ કરવામાં આવ્યો નથી. એમાં એક જેવા વેજીસની જોગવાઈ છે, જે બધાં રાજ્યોમાં એકસાથે લાગુ થશે. ઇન્ડિયા 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDGS) મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજની સિસ્ટમ લાગુ કરવાથી કરોડો લોકોને ગરીબીથી બહાર નીકળવામાં મદદ મળશે અને લોકોની લાઇફ સ્ટાઇલ પણ સુધરશે.