યમનના હુતી બળવાખોરો મૃત્યુદંડની સજા મેળવેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની નિયતિ નક્કી કરશે ?? વાંચો વિશેષ અહેવાલ
કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં 2017ના હત્યા કેસમાં મૃત્યુદંડની સજા મળી છે. તાજેતરના સમાચાર પરથી જાણવા મળ્યું છે કે તેમનો કેસ યમનના રાષ્ટ્રપતિના હાથમાં નથી પરંતુ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે, આ શિયાપંથી ગ્રુપ યમન પર પ્રભુત્વ ધરાવે છે. દેશની રાજધાની સનામાં આ લોકોનું ચાલે છે!
રાષ્ટ્રપતિએ મૃત્યુદંડને મંજૂરી આપી નથી
ભારતમાં યમનના દૂતાવાસે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ પ્રિયાની મૃત્યુદંડની સજાને મંજૂરી આપી નથી. તેના બદલે, આ મામલો ઈરાન સમર્થિત બળવાખોર જૂથ, હુતી લશ્કર દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે. દૂતાવાસના નિવેદન અનુસાર, પ્રિયા હાલમાં સનામાં કસ્ટડીમાં છે, જે હુતીઓના નિયંત્રણ હેઠળ છે.
યમનની જટિલ રાજકીય પરિસ્થિતિ
પ્રિયાના કેસ અંગેની મૂંઝવણ યમનની વિભાજિત રાજકીય પરિસ્થિતિને કારણે ઊભી થઈ છે. દેશમાં ત્રણ મુખ્ય જૂથો છે. એક તો ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સના અને યમનની લગભગ અડધી વસ્તી પર નિયંત્રણ ધરાવે છે. સાઉદી સમર્થિત સરકાર દેશના બાકીના ભાગ પર નિયંત્રણ રાખે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે. અને ત્રીજા મોરચે સંયુક્ત આરબ અમીરાત સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) કેટલાક દક્ષિણ પ્રદેશો પર શાસન કરે છે. વળી, ભારતમાં યમનનું દૂતાવાસ હુતી બળવાખોરોનું નહીં, પરંતુ સાઉદી સમર્થિત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. માટે ભારત સરકાર દ્વારા સીધો હસ્તક્ષેપ વધુ પડકારજનક બને છે.

પ્રિયાના કિસ્સામાં શું થયું?
૩૭ વર્ષીય નિમિષા પ્રિયા યમનમાં નર્સ તરીકે કામ કરતી હતી. 2017 માં, તેના પર તેના બિઝનેસ પાર્ટનર, તલાલ અબ્દો મહદીની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્રિયાએ કહ્યું કે મહદીએ તેનો પાસપોર્ટ છીનવી લીધો હતો અને તેને ધમકી આપી હતી, તેથી તેણે પાસપોર્ટ પાછો મેળવવા માટે તેને બેભાન કરવાનો પ્રયાસ કર્યો. કમનસીબે, આના કારણે તેમનું મૃત્યુ થયું. ૨૦૨૦ માં સનાની એક ટ્રાયલ કોર્ટે તેની ધરપકડ કરી અને તેને મૃત્યુદંડની સજા ફટકારી, અને નવેમ્બર ૨૦૨૩ માં ચુકાદો માન્ય રાખવામાં આવ્યો.
પ્રિયાને બચાવવાના પ્રયાસો
ભારતનું વિદેશ મંત્રાલય (MEA) પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ‘સેવ નિમિષા પ્રિયા’ ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલના સામાજિક કાર્યકરોએ પણ મદદ માટે અપીલ કરી છે.
પ્રિયાના પરિવારે “બ્લડ મની” એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે, જે ઇસ્લામિક કાયદામાં એક જોગવાઈ છે જેના હેઠળ પીડિતનો પરિવાર નાણાકીય વળતરના બદલામાં આરોપીને માફ કરી શકે છે. જો કે, જરૂરી રકમ – લગભગ $3,00,000 થી $4,00,000 (₹2.57-3.43 કરોડ) છે. જે સામાન્ય રીતે કોઈને પોષાય ન શકે. નવેમ્બર ૨૦૨૩ માં, ભારત સરકારે પ્રિયાની મુક્તિ માટે વાટાઘાટો શરૂ કરવા માટે $૪૦,૦૦૦ (₹૩૪ લાખ) ફાળવ્યા હતા.