સાઉદીની મદદમાં પાકિસ્તાન પણ યુદ્ધમાં ઝંપલાવશે ? પાક. વિદેશ મંત્રીનો સંકેત, જાણો શું છે પાકિસ્તાન-સાઉદી રક્ષા કરાર
ઈરાને સાઉદી અરેબિયા પર કરેલા હુમલાઓ બાદ મધ્યપૂર્વના યુદ્ધમાં નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા રક્ષા કરારને કારણે હવે સાઉદીની મદદ માટે પાકિસ્તાન પણ યુદ્ધમાં જોડાઈ શકે એવા સંકેત પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે આપ્યા છે. એવું બનશે તો પાકિસ્તાનને પરંપરાગત રીતે નજીકના સંબંધ ધરાવતા ઈરાન સામે જ લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
મધ્યપૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલે ગયા અઠવાડિયે ઈરાન પર સંયુક્ત હમલા કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધમાં હવે નવા દેશો ખેંચાઈ રહ્યા છે. ઈરાને પ્રતિશોધરૂપે અમેરિકી સૈન્ય મથકો, દૂતાવાસો અને ઊર્જા માળખાંને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે.
બુધવારે સાઉદી અરેબિયામાં રિયાધ સ્થિત અમેરિકી દૂતાવાસ પર આવેલા સંકુલમાં આવેલા સીઆઈએ મથક પર ઈરાનના ડ્રોન હુમલાથી નુકસાન થયું હતું. તે પહેલાં સાઉદીના સૌથી મોટા તેલ રિફાઈનરીઓમાંથી એક ગણાતા રાસ તનુરા ઓઈલ રિફાઈનરી પર હુમલો થતાં કામગીરી તાત્કાલિક બંધ કરવી પડી હતી.
આ પણ વાંચો :ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ
આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે જણાવ્યું કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી અને સાઉદી અરેબિયા પર વધુ હુમલા ન કરવા ચેતવણી આપી હતી. દારે કહ્યું કે તેમણે ઈરાનને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે રક્ષા કરાર છે અને તે કરારનું પાલન કરવું પાકિસ્તાન માટે ફરજિયાત બની શકે છે.
દારે દાવો કર્યો કે આ ચેતવણી બાદ રિયાધ પર ભારે હુમલાઓ અટક્યા હતા. તેમના જણાવ્યા મુજબ ઈરાને પણ પાકિસ્તાન પાસે ખાતરી માગી હતી કે સાઉદી અરેબિયાની જમીનનો ઉપયોગ ઈરાન સામે હુમલા કરવા માટે નહીં થાય.
બીજી તરફ સાઉદી અરેબિયાએ પણ ઈરાનના હુમલાઓ સામે “પૂર્ણ પ્રતિસાદ આપવાનો અધિકાર” હોવાની ચેતવણી આપી છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠક બાદ આ નિવેદન બહાર પડ્યું હતું.
જો સાઉદી અરેબિયા પર વધુ હુમલા થાય અને રક્ષા કરાર અમલમાં આવે તો પાકિસ્તાનને સાઉદી તરફથી સૈન્ય સહાયતા આપવી પડી શકે છે. જોકે એવી સ્થિતિ પાકિસ્તાન માટે રાજકીય અને આંતરિક રીતે ખૂબ જ સંવેદનશીલ બની શકે છે.
પાકિસ્તાન માટે ઘરઆંગણે મુશ્કેલી
સાઉદીની મદદ માટે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવી પાકિસ્તાન માટે સહેલી નથી.પાકિસ્તાનમાં અંદાજે 4 કરોડ શિયા મુસ્લિમો વસે છે અને તેઓ પરંપરાગત રીતે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન થયા હતા.આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા.બીજી તરફ પાકિસ્તાન હાલ અફઘાનિસ્તાનની સરહદે તાલિબાન સાથેના સંઘર્ષમાં પણ ફસાયેલું છે.આ સ્થિતિમાં ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવી પાકિસ્તાન માટે “બે મોરચા પરના યુદ્ધ” જેવી મુશ્કેલી ઊભી કરી શકે છે.
શું છે પાકિસ્તાન-સાઉદી રક્ષા કરાર?
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાટો જેવી શૈલીનો રક્ષા કરાર થયો હતો.
એ કરાર મુજબ એક દેશ પર થયેલો હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે.તે મુજબ જરૂર પડે ત્યારે બંને દેશો એકબીજાને સૈન્ય સહાયતા આપશે. બન્ને દેશો વર્ષો સુધી ઠંડા રહેલા સંબંધો બાદ આ કરારથી બંને ઇસ્લામિક દેશો વચ્ચે સુરક્ષા સહકાર મજબૂત થયો હતો.હવે ઈરાન-સાઉદી તણાવ વધતા આ કરાર અમલમાં આવે તો મધ્યપૂર્વના યુદ્ધમાં પાકિસ્તાન સીધું ખેંચાઈ શકે છે.
