ઓવૈસી સામે શા માટે રાજકીય મોરચે થઈ રહ્યો છે હુમલો ? શું કર્યું ? વાંચો
ન્યાય અને સિધ્ધાંતોની મોટી મોટી વાતો કરતાં એઆઈએમઆઈના નેતા ઓવૈસી પણ રાજકીય લાભ માટે ગમે તેવા આરોપીનો સાથ લઈ શકે છે તેમ માંનવા માટે મજબૂર બનવું પડે તેવી ઘટના બહાર આવી છે. દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દિલ્હીમાં રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. હુસૈન અહીં મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હુસૈન અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા. અત્યારે તે જેલમાં છે.
ઓવૈસીએ ટ્વિટર પર તાહિર હુસૈન વિશે જાહેરાત કરી હતી કે, એમસીડી કાઉન્સિલર તાહિર હુસૈન અમારી પાર્ટીમાં જોડાયા છે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમના પરિવારના સભ્યો અને સમર્થકો આજે મને મળ્યા અને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો.
દિલ્હીની એક કોર્ટે આ વર્ષે મે મહિનામાં પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે આમાં તેની ભૂમિકા ‘દૂરસ્થ પ્રકૃતિ’ની હતી અને તે ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં બંધ હતા. જો કે, તાહિર હુસૈન જેલના સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે. આમ રાજકીય મોરચે ઓવૈસીની ટીકા થઈ રહી છે.