રાહુલ અને પ્રિયંકા ગાંધીને ક્યાં જતાં અટકાવાશે ? કોણે શું કહ્યું ? વાંચો
કોંગ્રેસના યુપી પ્રદેશ અધ્યક્ષ અજય રાયના જણાવ્યા અનુસાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે બુધવારે આજે સંભલની મુલાકાત લેશે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલ સાથે સંભલની મુલાકાત લઈ શકે છે. આ પ્રતિનિધિમંડળમાં ઉત્તર પ્રદેશના તમામ છ સાંસદો સામેલ હશે, જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. પાર્ટીના મહાસચિવ અને રાજ્ય પ્રભારી અવિનાશ પાંડે પણ તેમની વચ્ચે હશે. જો કે કમિશનરે કહી દીધું છે કે કોઈને જવાની મંજૂરી અપાશે નહીં.
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ડીએમએ ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં તેમને વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને રસ્તામાં રોકવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, ડીએમએ આ સંબંધમાં બુલંદશહર અને અમરોહાના પોલીસ અધિક્ષકોને પત્ર પણ લખ્યો છે. ડીએમએ તેમના પત્રમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે 10 ડિસેમ્બર સુધી સંભલ જિલ્લામાં બહારના લોકો અને નેતાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર અને અમરોહાના પોલીસ અધિકારીઓને મોકલેલા પત્રોમાં, સંભલના ડીએમએ તેમને વિનંતી કરી કે તેઓ કોઈપણ બહારના વ્યક્તિ, ખાસ કરીને રાજકીય નેતાઓને જિલ્લામાં પ્રવેશતા અટકાવે. ડીએમએ ખાસ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંભલ મુલાકાત વિશે લખ્યું છે કે તેમને સંભલ જિલ્લાની હદમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કલમ 163 લાગુ છે
પત્રમાં ડીએમએ એમ પણ કહ્યું કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે 10 ડિસેમ્બર સુધી સંભલ જિલ્લામાં બહારના લોકો, અન્ય સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના સક્ષમ અધિકારીની પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં પણ કલમ 163 લાગુ છે.
આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સંભલમાં હિંસા પ્રભાવિત સ્થળની મુલાકાત લેવા અને અસરગ્રસ્ત લોકોને મળવા માટે ત્યાં જઈ રહ્યા છે. જો કે, ડીએમના આ પત્ર બાદ હવે તેમની સંભલ યાત્રા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.