કેટલાક ખરડા અટકી પડે છે ત્યારે તેના વિષે જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
પંજાબ સરકારના 7 બિલોને અટકાવી દેવામાં આવ્યા છે તેવા આરોપ સાથેની બાબત સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી ત્યારે આ બારામાં અદાલતે આકરું વલણ અપનાવતા ગવર્નર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, શુક્રવાર સુધીમાં જણાવો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા 7 બિલો પર અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી. રાજ્યપાલ ખરડા અટકાવી બેસી રહી શકે નહીં. ગવર્નરને લોકો ચૂંટીને મોકલતા નથી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, ગવર્નરે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ જ કામ શરૂ ના કરવું જોઈએ. સરકાર અને રાજ્યપાલોએ પરસ્પર ચર્ચા દ્વારા જ તેમની વચ્ચેના વિવાદોનું સમાધાન કરી લેવું જોઈએ.
બેન્ચે કહ્યું કે, ગવર્નરોને ભલે બિલોને પરત કરવાનો અધિકાર છે પરંતુ તેઓ તેને અટકાવીને ન બેસી શકે. ગવર્નર ચૂંટાયેલી સરકારની જેમ નથી અને તેમને સમયાંતરે બિલોને મંજૂર કરવાનો અથવા પરત કરવાનો નિર્ણય લેવો જોઈએ. પંજાબની આપ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે જેમાં તેમણે ગવર્નર બનવારી લાલ પુરોહિત પર આરોપ લગાવ્યો છે કે તેઓ 7 બિલો પર નિર્ણય નથી લઈ રહ્યા જે બિલોને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. પંજાબ સરકારે કહ્યું કે જૂનમાં ચાર બિલ મોકલવામાં આવ્યા હતા જ્યારે ત્રણ મની બિલોને સદનમાં લાવવા પહેલા જ મોકલવામાં આવ્યા હતા.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, તમામ રાજ્યપાલોએ આ અંગે વિચાર કરવો જોઈએ. તેઓ ચૂંટાયેલા લોકો નથી. અહીં સુધી કે, મની બીલ રોકવા માટે તો એક સમય મર્યાદા છે. અંતે સત્ર બોલાવવા માટે પણ સરકારોને કોર્ટમાં કેમ આવવું પડે છે?
આ એવા મામલા છે જેને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે બેસીને સમાધાન કરી લેવું જોઈએ. આ મામલે આગામી સુનાવણી 10 નવેમ્બરના રોજ કોર્ટમાં થશે. ત્યાં સુધી રાજ્યપાલે જણાવવું પડશે કે તેમણે પેન્ડિંગ બિલો અંગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે.