લ્યો ખરાબ સમય આવે એટલે સાથી પણ ભાગે ! આપે કોંગ્રેસ વિષે શું કહ્યું ? વાંચો
હરિયાણામાં અત્યંત ખરાબ રીતે પરાજય થયા બાદ આમ આદમી પાર્ટી તેના સહયોગી પક્ષ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. નવી દિલ્હીમાં કોંગ્રેસ અને આપ સાથે મળી ચૂંટણી લડે તેવી અટકળો અને સલાહો વચ્ચે આપએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે, તે દિલ્હીમાં પણ એકલા ચાલોની નીતિ જ અપનાવશે અને કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસને અતિ આત્મવિશ્વાસ નડી ગયો છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે જણાવ્યું હતું કે, અમે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું. એક તરફ અતિ આત્મવિશ્વાસી કોંગ્રેસ પક્ષ છે અને બીજી તરફ અત્યંત અહંકારી ભાજપ છે. અમે અમારૂ માથુ ઝુંકાવીને રાખીશું, અમારા છેલ્લા 10 વર્ષમાં કરેલા કામોને જાતે જ બોલવા દઈશું.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની શરૂઆતમાં થવાનો અંદાજ છે. 2020ના વિધાનસભા ચૂંટણીમાં આપએ 70માંથી 62 બેઠકો જીતી હતી. અને ભાજપને આઠ બેઠકો મળી હતી. જો કે આગામી ચુંટણીમાં પણ બે સમદુખિયા આપ અને કોંગ્રેસ ભેગા થાય તેવી શક્યતા નથી.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું…
અરવિંદ કેજરીવાલે હરિયાણામાં હાર પર નિવેદન આપ્યું હતું કે, હરિયાણા ચૂંટણીના પરિણામો પરથી અમને મોટો બોધપાઠ મળ્યો છે કે, ક્યારેય વધુ પડતો આત્મવિશ્વાસ ન હોવો જોઈએ. પક્ષના કાર્યકરોને દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અથાગ પ્રયાસો કરવા અપીલ છે. પ્રત્યેક ચૂંટણી અને પ્રત્યેક બેઠક મુશ્કેલ છે.