આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાહુલ ગાંધી શું કરશે ?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્રની મુલાકાત લેશે.
આસામના લખીમપુર ખાતે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રાનો નવમો દિવસ છે. રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે નાગાંવ જિલ્લામાં શ્રી શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્ર ખાતે પહોંચશે. જ્યાં રાહુલ ગાંધી સંકરદેવને શ્રદ્ધાંજલિ આપશે.દેશના સૌથી અગ્રણી સમાજ સુધારકોમાંથી એક એવા શ્રી સંકરદેવના જન્મસ્થળની રાહુલ ગાંધી મુલાકાત લેશે. આ અંગે વિગતો આપતા જયરામ રમેશે વધુમાં કહ્યું કે, સંકરદેવ આપણા દેશના મહાન ધાર્મિક ગુરુઓ અને સમાજ સુધારકોમાંના એક છે. 15મી અને 16મી સદી દરમિયાન તેમનું યોગદાન આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમના ઉપદેશો આજના સંદર્ભમાં નોંધપાત્ર છે.
કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમના ઘમંડને કારણે રામ મંદિરની વિરુદ્ધ છે તેવા આક્ષેપો પર પ્રતિઆક્ષેપ કરતા જયરામ રમેશે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં એક જ વ્યક્તિ અહંકારી છે તે વડાપ્રધાન છે.
