બંગાળમાં શું લાગશે રાષ્ટ્રપતિ શાસન ? કેવી રીતે અટકળો શરૂ થઈ ? જુઓ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ.સીવી આનંદ બોઝ મંગળવારે દિલ્હીમાં હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિને મળ્યા હતા. જો કે આમ તો રાજ્યપાલ ગમે ત્યારે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળી શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંબંધો બધા જાણે છે. ખાસ કરીને હવે કોલકાતાની આરજી મેડિકલ કોલેજના ડોક્ટરની હત્યા અને ત્યારપછીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેમની દિલ્હી મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી ચાલે છે કે કેમ તેવી અટકળો આ મુલાકાત બાદ વધી ગઈ છે. કેન્દ્ર કલમ 356 નો ઉપયોગ કરશે તેવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. બોઝે રાજ્યની સ્થિતિનો રિપોર્ટ સોંપી દીધો છે. બંગાળમાં નવાજૂની થવાની સંભાવના દેખાઈ રહી છે.
20 મિનિટ બેઠક ચાલી
કહેવાની જરૂર નથી કે રાજ્યપાલો રાજ્યોમાં કેન્દ્રના પ્રતિનિધિઓ છે. જો રાજ્ય સરકાર કોઈ રીતે રાજ્યમાં સામાન્ય સ્થિતિ જાળવી રાખવામાં અસમર્થ હોય, તો તેઓ ગૃહ મંત્રાલય દ્વારા તેમનો રિપોર્ટ કેન્દ્રને મોકલે છે. અહીં રાજ્યપાલ બોઝ પોતે દિલ્હી આવ્યા હતા. જાણવા મળ્યું છે કે બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ કોલકાતાની ઘટના અને ત્યાંની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠક લગભગ વીસ મિનિટ ચાલી હતી.
રાષ્ટ્રપતિ ઉપરાંત ડૉ. બોઝે ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. દેખીતી રીતે આ બંને સાથે કોલકાતાની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. . ખાસ કરીને તબીબોની સુરક્ષા અંગે આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. . કેન્દ્રની ભાજપ સરકાર અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર વચ્ચેની ખેંચતાણ ઘણી વખત સામે આવી ચુકી છે.
ગૃહ મંત્રાલયને રિપોર્ટ
કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ કેન્દ્ર સરકારને તમામ પ્રકારની માહિતી પૂરી પાડે છે. તેમના અહેવાલ પર, કેન્દ્ર સરકાર કલમ 356 હેઠળ રાજ્ય સરકારોને બરતરફ કરવા રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. વિવિધ સંજોગોમાં, રાષ્ટ્રપતિ બંધારણની આ કલમ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારને બરતરફ કરે છે.