મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મુદ્દે શું ઠઇ બબાલ ? કોણે શું આપી ધમકી ? જુઓ
મહારાષ્ટ્રમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને દેશમાં વિવાદ વધી રહ્યો છે. છત્રપતિ સંભાજી નગરના ખુલ્દાબાદમાં મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર અંગે રાજકીય લડાઈ અને ટેન્શન સાથે નિવેદનો પણ આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કબરને હટાવવાની હાકલ વચ્ચે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પણ તેમની માંગણી કરી છે. બંને સંગઠનોએ ચીમકી આપી છે કે જો સરકાર આ મામલે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અહીં પણ આયોધ્યાની જેમ કારસેવા કરશે અને કબર ઉખાડી દેવામાં આવશે. એમની માંગ છે કે સરકારે કબર મહારાષ્ટ્રથી હટાવવી જોઈએ.
મંગળવારે મહારાષ્ટ્રના નાગપુર, પૂણે અને સંભાજી નગર સહિત ૬ થી વધુ શહેરોમાં આ માંગ સાથે ભારે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને તેને પગલે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને મકબરા પર સખત જાપ્તો ગોઠવી દેવાયો હતો.
બંને સંગઠનોના નેતાઓએ આ મામલે એવું કહ્યું હતું કે તેઓ બંને સાથે મળીને રાજ્ય સરકાર સમક્ષ કાયદાકીય માધ્યમથી કબર હટાવવાની માંગ કરવામાં આવી છે . . જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો રાજ્યવ્યાપી કારસેવા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ મકબરો ઔરંગઝેબના શાસન દરમિયાન સદીઓથી હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને જુલમનું પ્રતીક છે અને તેથી તેને તોડી પાડવો જોઈએ.
વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ મીડીયાને કહ્યું કે, ‘ઔરંગઝેબનો ઈતિહાસ તેની ક્રૂરતાથી ભરેલો છે. તેણે તેના પિતાને કેદ કર્યા, તેના ભાઈઓની હત્યા કરી અને હિન્દુ મંદિરોનો નાશ કર્યો. અહીં તેની કબર હોવી માત્ર તેના અત્યાચારોની જ યાદ અપાવે છે.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, ઔરંગઝેબની કબરની રક્ષા થશે પણ, મહિમામંડન સહન નથી
દરમિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મંગળવારે આ મુદ્દા પર વિધાનસભામાં એમ કહ્યું હતું કે અમે ઔરંગઝેબનું મહિમામંડન સહન નહીં કરીએ અને આમ કરનાર લોકો કચડાઈ શકે છે. અમે કબરની રક્ષા કરશું. શિવાજીના ૧૨ કિલ્લાઓને વૈશ્વિક ધરોહરમાં શામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવશે. શિવાજી મહારાજે હમેશા હિન્દુ મંદિરોની રક્ષા કરી હતી અને સ્વરાજને ઘણું મહત્વ આપ્યું હતું. અમે ઇતિહાસ સાથે છેડછાડ સહન કરશું નહીં.
પોલીસ પર્યટકોના આધાર કાર્ડ ચેક કરી રહી છે
ઔરંગઝેબના સંભાજિનગરના ખૂલદાબાદમાં આવેલા મકબરા પર અને તેની આસપાસ પોલીસ જવાનો ગોઠવાઈ ગયા છે અને મકબરાની મુલાકાતે આવતા લોકોના આધાર કાર્ડ ચેક કરીને દરેકની વિગતો માંગવામાં આવી રહી છે અને સુરક્ષાના કારણોસર આ કામગીરી મંગળવારથી જ શરૂ કરાઇ હતી. અંદર જતાં પહેલા પર્યટકોના મોબાઈલ ફોન પણ બહાર જ લઈ લેવામાં આવે છે.