ચુંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનની કેવી દુર્દશા થઈ ? વાંચો
- કોણે સાથે લડવાનો ઇનકાર કર્યો ?
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનને મોટા ફટકા લાગી ગયા હતા અને આ સંઘ કાશીએ પહોંચે તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી. લોકસભા ચૂંટણી માટે ઈન્ડીયા ગઠબંધન બનાવનાર કોંગ્રેસને બુધવારે બે ઝટકા લાગ્યા હતા. મમતાએ બુધવારે એકલા ચલો રે નું એલાન કરી દીધું હતું અને ઇન્ડિયાને જાકારો આપ્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ પંજાબની બધી 13 લોકસભા બેઠકો એકલે હાથે લડવાનું એલાન કરી દીધું હતું. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આ એલાન કર્યું હતું અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં રહીને લડવાનો ઇનકાર કરી દીધો હતો.
ઈન્ડીયા ગઠબંધન બે રાજ્યોમાં વિખેરાઈ ગયું છે. બંગાળમાં પણ મમતા બેનરજીએ એકલે હાથે લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું જે પછી બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલે હાથે ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પંજાબની 13 લોકસભા બેઠકો માટે 40 ઉમેદવારોની પસંદગી કરી છે અને અંતિમ ઉમેદવારનુ નામ નક્કી કરવા માટે સર્વે કરી રહી છે.
મમતા બેનરજીએ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે ટીએમસી એકલે હાથે લોકસભાની ચૂંટણી લડશે અને ચૂંટણી બાદ ગઠબંધનનો નિર્ણય લેવાશે.
રાજકીય પંડિતો માની રહ્યાં છે કે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ તેમ ગઠબંધનના સાથીઓ છેડો ફાડી લેશે. યુપી અને બિહાર જેવા મોટા રાજ્યમાં પણ ઈન્ડીયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. યુપીમાં અખિલેશ યાદવ અને બિહારમા નીતિશ કુમાર-લાલુ ઈન્ડીયાનો ખેલ બગાડી શકે છે.